કપડવંજ નગરની મધ્યે નિલકંઠ મહાદેવનું મંદિરનો ઐતિહાસિક અને પૌરાણિક વારસો છે.વર્ષો પહેલા વાણિયાની એક ગાય જગ્યાએ દૂધની ધારા કરતી હતી ત્યાં ખોદકામ કરતાં નિલકંઠ મહાદેવ પ્રગટ થયા હતાં.તેવા ઐતિહાસિક વારસા સાથે બિરાજમાન નિલકંઠ મહાદેવનું એક હજાર વર્ષ પછી મંદિર પરિસરના નવનિર્માણના કાર્યનો ટૂંક સમયમાં પ્રારંભ થશે.
કપડવંજ નગરના ટાવર રોડ ઉપર કુંડવાવ પાસે બિરાજમાન લીલકંઠ બાદમાં નિલકંઠના નામે પ્રચલિત મહાદેવનો અનોખો ઈતિહાસ છે.
જ્યારે આ સ્થળ જંગલ હતું. ત્યારે કેટલીક વખત કપડવંજના ઢોર ચરવા આવતાં.આ સ્થળે મહાદેવ છે તે કોઈની જાણમાં નહોતું. એક વણિકની ગાય જે જગ્યાએ દૂધની ધારા કરતી હતી અને તે વણિકને દૂધ આપતી નહોતી. આ કારણ શોધવા વણિક અને ગોવાળે તપાસ આદરી. તપાસ કરતાં નિયત પ્રમાણે આ સ્થળે ગાય દૂધની ધારા કરતા નજરે નિહાળી. આ સ્થળમાં કંઈક ચમત્કાર છે એમ સમજી ત્યાં ખોદકામ કરતાં શિવલીંગ નીકળ્યું અને આ લિંગની સ્થાપના આ વણિકે કરી.
નિલકંઠ મહાદેવ પાસે જ એક વિશાળ કુંડ છે. ત્યાં આગળ તે સમયે એક તળાવ હતું.એ સમયમાં ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયસિંહ આ તરફ ફરવાને સારૂં આવ્યો હતો.તેમની સાથે એક સોમદત્ત કરીને પંડિત હતાં.તે પંડિતને રક્ત પિત્તનો રોગ થયો હતો. તે પંડિત તળાવમાં ન્હાવા ગયો અને તેનો રોગ નાશ પામ્યો તેવી એક લોકવાયકા છે. ચમત્કારીત તળવા અંગે સિદ્ધરાજ જયસિંહને અચરજ થયું હતું.અને આ તળાવમાં કંઈક દેવી શક્તિ છે તેવી આસ્થા સાથે તળાવ ખોદાવવા માડ્યું હતું. ખોદકામ દરમ્યાન નારાયણદેવ દાદા, મહાલક્ષ્મી માતાજી અને ફુલબાઈ માતાજીની મુર્તિઓ નીકળી હતી.એ મુર્તિઓ નીલકંઠ મહાદેવમાં મુકવામાં આવી હતી.અને ત્યારબાદ કુંડવાવનું નિર્માણ કર્યું હતું.તથા તેની પાસે વાવ બંધાવી હતી.આમ જોતા સિદ્ધરાજ જયસિંહનો સમય વિક્રમ સંવત ૧૧૫૦નો છે.તેથી ૯૨૯ વર્ષ પહેલા કુંડવાવનું નિર્માણ થયું હતું.તે પહેલા કપડવંજમાંથી નીકળેલ તામ્રપત્રો જોતાં વિક્રમ સંવત ૯૪૪માં ગુજરાતમાં રાષ્ટ્રકુટ વંશનું રાજ હતું.આમ ૧૧૩પ વર્ષ તેને થયા છે.તે જોતાં આ નિલકંઠ મહાદેવ ૧૦૦૦ વર્ષ પુરાણું છે તેમ કહી શકાય તેમ છે.
નીલકંઠ મહાદેવનું મંદિર મહંમદ ગજનીના વખતનું છે. મહંમદ મૂર્તિભંજક હતો.તેથી આ મૂર્તિને બચાવવા તેની પ્રતિષ્ઠા ભોયરામાં કરી હતી.હાલ પણ આ ભોંયરું હયાત છે. (સંદર્ભ – ચરોતર સર્વ સંગ્રહ) નિલકંઠ મહાદેવ ખાતે સન-૧૯૬૪માં શ્રી શારદા પીઠાધીશ્વર જગદૃગુરૂ શંકરાયાર્યજી મહારાજ શ્રી ૧૦૦૮ અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સ્વામી મહારાજે નિલકંઠ મહાદેવ ખાતે ચાતુર્માસ કર્યો હતો. જગદૃગુરૂની ઉપસ્થિતિમાં કપડવંજ નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ધર્મસભાનું આયોજન કર્યું હતું. તેઓની ઉપસ્થિતિ દરમ્યાન કપડવંજ સંપૂર્ણ યાત્રાધામ બની ગયું હતું. ત્યારબાદ પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પણ અત્રે ચાતુર્માસ કરી ધર્મસભાઓ કરી હતી.તે ઉપરાંત અનેક સંતોએ નિલકંઠ મહાદેવ ખાતે ચાતુર્માસ કરી નગરની પ્રજાને ધર્મલાભ આપ્યો હતો.
એક હજાર વર્ષ પછી નિલકંઠ મહાદેવને નવા રૂપરંગ આપવાના ભગીરથ કાર્યનો આરંભ થયો છે. ભોંયરામાં બિરાજમાન શિવલીંગને યથાસ્થાને રાખી મહાદેવના મંદિરના નવનિર્માણના કાર્યનો ટૂંક જ સમયમાં આરંભ થઈ જશે.
સુરેશ પારેખ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel