અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ
વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં ભદ્રકાળી માતાનું મંદિર બનાવડાવ્યુ હતુ. મા ભદ્રકાળી અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત છે. ભદ્રના પાસે પાથરણા બજારમાં શહેરમાંથી કે બહારગામથી ખરીદી માટે આવતા લોકો આજે પણ સૌથી પહેલા મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે. મુઘલ શાસકો, મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ મા ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હોવાની માન્યતા છે.
ભદ્રકાળી મંદિર સાથે એક માન્યતા એવી પણ છે કે, રાજા કર્ણદેવે અમદાવાદના આશાભીલને પરાસ્ત કરી સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી. ત્યારબાદ અહમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું અને શહેરના રક્ષણ માટે કોટ વિસ્તૃત કર્યો, માતાજીના મંદિર પાસેનો કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અને કિલ્લાની રક્ષા મા ભદ્રકાળી કરે છે. કહેવાય છે કે મા ભદ્રકાળીનો સાક્ષાત્કાર થતાં મુઘલ સૂબા આઝમખાને દર નવરાત્રિમાં માતાજીની ચુંદડી ચઢાવવાની પરંપરા શરૂ કરી હતી. આજે પણ મા ભદ્રકાળીના સાક્ષાત્કાર છે મંદિરે આવતા ભક્તો તેમની મનોકામના માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને માતાજીના આશીર્વાદથી તે પૂર્ણ પણ થાય છે
પાટણના રાજા અને સાબરમતી નદી કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદ ઓળખ છે. તેમ ભદ્રકાળી માતાજીનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખ છે. રાજાશાહી વખતમાં બનેલા આ મંદિરમાં ભક્તોની શ્રદ્ધા અપરંપાર છે. આજે પણ ભક્તો પોતાના કામ ધંધે જતા પહેલા મા ભદ્રકાળીના મંદિરે આવી માતાજીને શીશ નમાવે છે.
અમદાવાદ શહેરના નગર માતા કહેવાતા મા ભદ્રકાળીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. મા ને શરણે આવી ભક્તો પોતાના દુઃખ દર્દ ભૂલી જાય છે. અને પોતાની મનોકામના માતાજી સમક્ષ રજુ કરે છે અને તે મનોકામના મા ભદ્રકાળી પૂર્ણ પણ કરે છે. મંદિરે આવતા ભાવિકો વિવિધ માનતા માને છે. મા ભદ્રકાળીને ધજા ચડાવાની પરંપરા પ્રમાણે ધજા ચડાવે છે. અમદાવાદ અને અન્ય શહેરમાંથી આવી અહિં સ્થાયી થયેલા લોકોને પણ ભદ્રકાળી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
ભદ્રકાળી માતાજીનું મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે. પુરાવા પ્રમાણે આ પવિત્ર મંદિર 800 વર્ષથી પણ વધુ સમયથી અસ્તિત્વમાં છે. અમદાવાદના નગરદેવીના મંદિરે નવરાત્રિમાં માનવ મહેરામણ ઉભરાય છે. ઘણા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને પગપાળા આવે છે. માતાજીને રોજ નવી ચુંદડી ઓઢાડવામાં આવે છે. ચૈત્ર મહિનામાં ભક્તો માતાજીના અનુષ્ઠાન કરે છે.
મા ભદ્રકાળીના દર્શન માત્રથી ભાવિકોના અટકેલા તમામ કામો પૂર્ણ થાય છે. મા ના દરબારમાં આવી ફક્ત શીશ ઝુકાવી દરેક ભાવિક પોતાના મનોવાંચ્છીત ફળ મેળવે છે. તંત્ર ચુડામણી ગ્રંથમાં શક્તિપીઠોનું વર્ણન કરાયું છે તેમાં મા ભદ્રકાળીનું પણ વર્ણન છે. ચોરસ બાંધકામને ભદ્ર કહેવાય છે અને કાલી સાથે ભદ્ર શબ્દ લાગતા માતાજી ભદ્રકાળી કહેવાયા છે. વર્ષો જુના આ મંદિર અને ભદ્રકાળી માતાજી પ્રત્યે આજે પણ ભક્તોની શ્રદ્ધા અખૂટ છે..