ગોમતી નદીમાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગોમતી ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અકસ્માતો રોકવા માટેના નિર્ણયો
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય નદીમાં થતા અકસ્માતો અને જાનહાનિને રોકવા માટે લેવામાં આવ્યો છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ગોમતી ઘાટ પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિ પ્રતિબંધનો ભંગ ન કરે. તંત્ર દ્વારા લોકોને આદેશનું પાલન કરવા અને નદીમાં નહાવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
અગાઉ પણ ઘટી હતી ઘટનાઓ
નોંધનીય છે કે ગઇકાલે ગોમતી નદીમાં અકસ્માત સર્જાયો હતો. ગોમતી નદીમાં સ્નાન કરતા સાત પ્રવાસીઓ ડૂબ્યા હતા. જેમાં ચાર યુવક તેમજ ત્રણ યુવતી ડૂબી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને ફાયર બ્રિગેડે તેમને બચાવ્યા હતા. જેમાં એક યુવતીનું મૃત્યુ થયું હતું.
તે ઉપરાંત મે મહિનામાં ગોમતી ઘાટમાં બપોરે સ્નાન કરવા ગયેલા ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના બની હતી. પાટણથી દ્વારકા મંદિરે દર્શનાર્થે આવેલા ત્રણ યાત્રાળુઓ બપોરે ગોમતી નદીના ઘાટે સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક ડૂબવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.