ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણયની ઔપચારિક જાહેરાત રવિવારે (11મી મે) કરવામાં આવશે. તેનો અમલ રવિવારથી જ થશે. મુંબઈ પોલીસની સલાહને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે.
નારિયેળ કે પ્રસાદમાં વિસ્ફોટકો હોઈ શકે છે!
મંદિર પ્રશાસનનું કહેવું છે કે, નારિયેળ કે પ્રસાદમાં વિસ્ફોટકો હોઈ શકે છે. મંદિરના ટ્રસ્ટી ભાસ્કર શેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નારિયેળ અને અન્ય પ્રસાદ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી.’
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના વડા સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, ‘મંદિરમાં દરરોજ હજારો લોકો આવે છે અને તે આતંકીઓની હિટ લિસ્ટ પર છે. સરકાર અને પોલીસ દ્વારા અમને ઘણી સલાહ આપવામાં આવી છે. સુરક્ષા પગલાં અંગે, સુરક્ષા તપાસ દરમિયાન ભગવાન ગણેશને અર્પણ કરાયેલા નારિયેળની ઓળખ થઈ શકતી નથી અને આ ખતરનાક બની શકે છે. પ્રસાદમાં ઝેર હોઈ શકે છે. આને ટાળવા માટે, અમે થોડા સમય માટે ભગવાનને માળા અને નારિયેળ ચઢાવવાની મંજૂરી આપીશું નહીં.’
સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હતું. ટ્રસ્ટે મંદિરની બહાર ફૂલ વિક્રેતાઓ સાથે વાત કરી, જેમણે 11મી મેથી પહેલ શરૂ કરવા વિનંતી કરી જેથી તેઓ તેમનો હાલનો સ્ટોક પૂરો કરી શકે.’