તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડિસેફિલિએશનનો અર્થ એ છે કે શાળાઓ હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને પરંતુ હાલની બેચનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસને કોઇ અસર પહોંચશે નહિ.
અમદાવાદની ચાર શાળાઓનો સમાવેશ
CBSEની તાજેતરની ડિસેફિલિએટેડ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં DLA એકેડેમી ઓફ લિટલ પીપલ, ધ ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ હાઇ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, હિરપુરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત રાજ્યની અન્ય 10 શાળાઓમાં બે કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ થાય છે.
અન્ય કઈ શાળાઓનો સમાવેશ
તે ઉપરાંત જામનગરની સરોજબેન મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજદીપ ઇંગ્લિશ સ્કૂલ અને સનફ્લાવર સ્કૂલ, રાજકોટની શ્રી BM ક્યાડા સ્કૂલ અને આર્ય-વીર ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, વલસાડની ભાસ્કરદ્યુતિ વિદ્યાલય અને અમરેલીની કેલોરેક્સ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. જો કે CBSEએ આ શાળાઓમાં માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક જેવા ચોક્કસ વિભાગો માટે સંલગ્નતા નકારી કાઢી છે.
શા માટે કરાઇ ડિસેફિલિએશન?
નિષ્ણાતોના મતે, રાજ્યમાં CBSE દ્વારા એકસાથે આ સૌથી વધુ શાળાને ડિસેફિલિએશન કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ નિરીક્ષણ દરમિયાન નિયમોનાં પાલનમાં જોવા મળેલી બેદરકારીને માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નિર્માણ હાઇસ્કૂલનો સમાવેશ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બોર્ડના સંલગ્નતા કાયદાઓનું ઉલ્લંઘન કરતી 29 શાળાઓમાં થયો હતો.