અમદાવાદની ભાગોળે ધુમા ગામના તળાવની વચ્ચે આશરે 150 વર્ષથી મહાકાળી માતાજી બિરાજમાન છે. અનેરો ઈતિહાસ ધરાવતા મહાકાળી મંદિરમાં માતાજીની મુર્તિના દર્શન કરીએ ત્યારે જાણે માતાજી સાક્ષાત બિરાજમાન હોવાનો અલૌકિક અનુભવ થાય છે. દરેક ભક્તોના દુખો સાંભળતી મહાકાળી માનો અનેક ભાવિક ભક્તોને સાક્ષાત્કાર થયો છે. ઘુમા અને આજુબાજુના વિસ્તારના લોકોની મંદિર સાથે અખૂટ શ્રદ્ધા જોડાયેલી છે.
ઘુમા ગામના તળાવમાં પહેલા મહાકાળી માતાજીનું આ મંદિર નહોતું. આ મંદિર બનાવવા પાછળનો ઈતિહાસ જોઈએ તો, વર્ષો પહેલા ગામના એક પરિવારનો જુવાન દીકરો ઘુમાના આ તળાવમાં ડૂબ્યો હતો અને ચોવીસ કલાક વીતવા છતા દીકરો ન મળતા તે પરિવારે મહાકાળી માતાને પ્રાર્થના કરી હતી. અને કલાકોથી તળાવમાં પડેલો યુવાન દીકરો પરિવારને જીવંત મળી આવ્યો એટલે તે પરિવારે તળાવ વચ્ચે માતાજીનું મંદિર બનાવ્યું હતું.
અમદાવાદની ભાગોળે આવેલા મહાકાળી મંદિરમાં અનેક ભાવિકોના મહાકાળી માતાજીનો સાક્ષાત્કાર થયો હોવાના ઘણા પુરાવા છે. તળાવની વચ્ચે આવેલા આ મંદિરની આસપાસ ઘણા સાપ રહે છે. આજ સુધી સાપે કોઈને દંશ દીધો હોવાની ઘટના બની નથી. એક વખત માતાજી પાસે કરેલી અરજી મા પૂરી કરે જ છે ત્યારે ન માત્ર ઘુમા ગામ પરંતુ આજુબાજુના ગામના લોકો પણ માતાજીના દર્શને આવે છે અને માતાજી સમક્ષ કરેલ મનોકામના પૂર્ણ પણ થાય છે. મંદિરે આવતા ભક્તો માતાજી સમક્ષ સાચા દિલથી રજૂઆત કરે તે પૂર્ણ થાય છે
અમદાવાદની ભાગોળે ધુમા ગામના પાદરમાં તળાવની વચ્ચે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરમાં દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. મંદિરે આવતા ઘણા ભાવિક ભક્તો માતાજી પાસે સાડી ધરવાની ટેક રાખે છે. ઘુમા અને આજૂબાજૂના ગ્રામવાસીઓની માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે લોકો પોતાના કામધંધે જતા પહેલા માતાજીના મંદિરે અચૂક શીશ નમાવીને જ જાય છે.
અમદાવાદ શહેરમાં અનેક નાના મોટા મંદિરો આવેલા છે દરેક મંદિરમાં ભક્તોની લાગણી જોડાયેલી હોય છે આમાંનું એક મંદિર એટલે ઘુમા ખાતે આવેલું મહાકાળી માતાજીનું મંદિર. માતાજીના આ નાના મંદિરે ભાવિકો મોટી આશા લઈને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાના મનોકામના વ્યક્ત કરે છે અને મહાકાળી માતાજીના પણ તેમના દરેક ભક્તો પર સદાય આશીર્વાદ રહે જ છે.
ખોબા જેવડા નાનકડા ઘુમા ગામમાં આમતો ખોડિયાર માતાજી, મેલડીમાં સહીતના અનેક નાના મોટા મંદિરો આવેલા છે. આ મંદિરમાં પ્રવેશ કરતા જ માતાજીના સાક્ષાત્કારનો અનુભવ થાય છે. તો આ મંદિરમાં બેસીને તમારા મનમાં ચાલતા વિચારોના યુદ્ધને પણ શાંતિ મળે છે. તળાવ અને વૃક્ષોની વચ્ચે આવેલા આ મંદિર દુરથી જોઇને જ આંખોને ટાઢક મળે છે.
તળાવ વચ્ચે બિરાજમાન મહાકાળી માતાજી પ્રત્યે સમગ્ર ગામજનોને અતૂટ શ્રદ્ધા છે. મંદિરમાં આજુબાજુના ગામના શ્રધાળુઓ દર્શને આવે છે ત્યારે આ મંદિરની વાત જ કંઈક અલગ છે. મંદિરે ભક્તો પોતાની જે કંઈ મનોકામના લઈને આવે છે તે હંમેશા પૂર્ણ થાય છે તેવી ભક્તોને શ્રદ્ધા છે. તો આ મંદિરનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. આ મંદિરનું નિર્માણ યુવકનો જીવ બચવાને કારણે થયું છે.