નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા વિરામ બાદ નવસારી પ્રીમિયર લીગ (NPL) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ની આગેવાનીમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ છે. આજે બપોરે 2.00 વાગ્યાથી શરૂ થનાર ઓક્શનમાં 8 ટીમ માટે કુલ 441 ખેલાડીઓ વચ્ચે ઓક્સન પદ્ધતિથી ચયન કરી ટીમ બનાવવામાં આવશે. દરેક ટીમના માલિકને બે લાખ પોઇન્ટ્સ ફાળવવામાં આવ્યા છે. આ પોઇન્ટ્સનો ઉપયોગ કરીને તેઓ શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરશે. પ્રત્યેક ટીમમાં 15 ખેલાડીઓ હશે, જેથી કુલ 120 ખેલાડીઓને રમવાની તક મળશે.
નવસારી પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશ હિરાણીની નિમણૂક કરવામાં આવી છે. અશોકભાઈ ગજેરાને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટની છેલ્લી સીઝન 2013 અને 2015માં રમાઈ હતી. આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ આ ટુર્નામેન્ટના પુનરાગમનથી સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અગાઉ યોજાયેલ એનપીએલમાં હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, રાકેશ પટેલ જેવા ઇન્ડીયા ટીમના ખેલાડીઓ અને બરોડા ક્રિકેટ એસોસિએશન, ગજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રણજીટ્રોફી પ્લેયર્સ તેમજ નામદાર ખેલાડીઓ રમી ગયાં છે.