બીલીમોરામાં આવેલુ દક્ષિણ ગુજરાતનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ, પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશ અને ભારતભરમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. બીલીમોરામાં આવેલા લોકોની આસ્થાના પ્રતીક સમા ભગવાન ભોળાનાથ શંભુ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. 11મી 12મી સદીના સોલંકીયુગથી આ મંદિર લોકોમાં શ્રદ્ધા નું અનેરું મહત્વ ધરાવે છે. 108 ફૂટ ઊંચા શિખર ઉત્તમ કલા કારીગીરી સાથે મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરની બહાર ઉત્તરમાં ગૌમુખી વહે છે. મંદિરમાં એક તરફ ગણપતિ બાપ્પા અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે. તેમજ ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે માતા પાર્વતી બિરાજમાન છે. મંદિરની સામે ભગવાન ભોળાનાથ શંકરનું વાહન નંદી સાથે કાચબો બિરાજમાન છે.
બીલીમોરામાં સોમનાથ મહાદેવ બિરાજમાન
દેસાઈજી કુટુંબે જીર્ણ થયેલા શિવમંદિરનો 1925માં જીર્ણોદ્ધાર કર્યો
સોલંકી શાસનકાળમાં સ્વયંભુ પ્રગટ થયેલા પૌરાણિક શિવલિંગની મહિમા અનેરી છે. વર્ષો પહેલા બીલીમોરા નજીકના ગણદેવીગામમાં રહેતા દેસાઈજી કુટુંબના વડાને મહાદેવજીએ સ્વપ્નમાં આવી શિવલિંગની વાત જણાવી હોવાની લોકવાયકા છે. સ્વપ્ન પરથી પ્રેરણા લઈ દેસાઈજી કુટુંબે જીર્ણ થયેલા શિવમંદિરનો 1925માં જીર્ણોદ્ધાર કર્યો હતો. મહાદેવજીના દર્શને દેશ વિદેશની ભાવિકો આવે છે અને ભોળેબાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણમાસમાં સોમનાથ મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. મહાદેવના દર્શન કરી ભાવિકો મેળાની મોજ પણ માણે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની સોમનાથદાદામાં અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી. આખા માસમાં બ્રહ્મમુહૂર્તમાં રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શનનો લાભ લેય છે. સોમનાથ દર્શને આવતા દર્શનાર્થીઓ નજીકમાં આવેલા ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને સાંઈ બાબાના મંદિરના દર્શનનો પણ લ્હાવો લેવાનું ચુકતા નથી.