શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લર્નિગ, પાકા લાયસન્સ માટે વાહનચાલકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આવતા અઠવાડિયાથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બનશે. મળતી વિગત પ્રમાણે, રાજ્યના પરિવહન વિભાગે હોમ-મેડ લર્નિંગ લાયસન્સ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સજ્જ છે, જેમાં અરજદારોને ઘરે બેઠા લેપટોપ દ્વારા તેમની ડ્રાઇવિંગ થિયરીની પરીક્ષા ઓનલાઇન આપવાની મંજૂરી આપવામાં આવશે.
લર્નિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કર્યા બાદ પાકા લાયસન્સ માટે કેટલો સમય મળશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરજદારો હવે સારથી પોર્ટલ દ્વારા એપોઇન્ટમેન્ટ બુક કરીને લેપટોપ અથવા ડેસ્કટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઘરે બેઠા ઓનલાઇન પરીક્ષા આપી શકશે. એકવાર તેઓ પાસ થઈ જાય, પછી તેમની પાસે પાકા લાયસન્સ માટે ટ્રેક ટેસ્ટ આપવા માટે ૩૦ દિવસનો સમય રહેશે.
અત્યાર સુધી, ઓનલાઇન લર્નિંગ લાયસન્સની પરીક્ષા ફક્ત નિયુક્ત આઇટીઆઇ અને પોલિટેકનિક સંસ્થાઓમાં જ લેવામાં આવતી હતી. અરજદારોએ સારથી પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફી ભરવી પડતી હતી. આ પછી પરીક્ષા માટે કેન્દ્રની મુલાકાત લેવાની હતી વિભાગે હોમ-મેડ લર્નિંગ લાયસન્સમાં દસ્તાવેજો અપલોડ કરવાથી લઈને પરીક્ષા આપવા સુધીનું બધું જ ઓનલાઇન થશે.
લર્નિગ લાયસન્સ ટેસ્ટ માટે વેબકેમ ફરજિયાત જોઈશે
આરટીઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરજદારો પોર્ટલ પર લોગ ઇન કરી શકે છે, દસ્તાવેજો અપલોડ કરી શકશે, ફી ભરી શકશે. તેમજ ઓનલાઇન પરીક્ષાનું સમયપત્રક તેમની અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે. પરીક્ષા કાર્યરત વેબકેમ ધરાવતા કમ્પ્યુટર પર જ આપવી પડશે.
તેમાં 15 બહુ વિકલ્પીય પ્રશ્નો હશે, જેમાંથી પાસ થવા માટે ઓછામાં ઓછા નવના સાચા જવાબ આપવા પજશે. વેબકેમ આખી પ્રક્રિયા દરમિયાન ચાલુ રહેવું જોઈએ. કોઈપણ શંકાસ્પદ વર્તન આપોઆપ ગેરલાયક ઠરશે. સિસ્ટમને સપોર્ટ કરવા માટે એક મોબાઇલ એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રોજેક્ટ પર ક્યારે શરૂ થયું હતું કામ
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું કે, હોમ-મેડ લર્નિંગ લાયસન્સનો વિચાર ગયા વર્ષે જ રજૂ કરવામાં આવ્યો હતો. એક નિષ્ણાત પેનલે ડિસેમ્બર 2024માં ભલામણો સબમિટ કરી હતી. જો કે લોન્ચ જાન્યુઆરી માટે આયોજન કરવામાં આવ્યું હતું, તે હવે મે મહિનામાં શરૂ થઈ રહ્યું છે. હજારો અરજદારોને તેનો લાભ મળવાની અપેક્ષા છે.
આ પહેલા સરકારે અરજદારોને હેરાનગતિ અને બિનજરૂરી ખર્ચથી બચાવવા માટે આરટીઓ કચેરીઓમાં દલાલો પર પહેલેથી જ કાર્યવાહી કરી છે. ઘણા લોકો અગાઉ લાયસન્સ મેળવવા અથવા વાહનની માલિકી ટ્રાન્સફર કરવામાં માટે એજન્ટો પર નિર્ભર રહેતા હતા.