બોટાદ જિલ્લામાં અનેક પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાનો આવેલા છે. આધ્યાત્મિક જિલ્લો ગણાતા બોટાદના ગઢડા શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગઢડા શહેરમાં ઉગામેડી રોડ પર ઐતિહાસિક રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર 250 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સિધ્ધેશ્રવર મહાદેવ અને હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવેલી છે મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવ રાધાવાવ નામથી પ્રચલિત છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે.
ભગવાન સ્વામિનારાયણ છપૈયાથી નિકળ્યા અને સાડાબાર હજાર કિલોમીટરની પદયાત્રા કરીને ગઢડા આવ્યા ત્યારે ગઢડાના દરબાર દાદાબાપુ ખાચરે મંદિર બનાવવા પોતાનો દરબાર ગઢ આપી દીધો હતો અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રોકાયા અને ગઢડાને કર્મભૂમિ બનાવી હતી. ગઢડાના દરબાર દાદાબાપુ ખાચરને બે બહેનો હતી એક મોટીબા અને બીજા લાડુબા, બંને બહેનો અવતારી આત્મા હોવાનું માનવામાં આવે છે. લાડુબાએ ભગવાન સ્વામિનારાયણને વાડીમા વાવ બનાવવા કહ્યુ એટલે સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસ અને 200 પાર્ષદોથી વાવ બનાવવાનું શરૂ કર્યું હતું. વાવમાં સારૂ પાણી થયું હતું. લાડુબા રાધિકાજીના સ્વરૂપ માનવામાં આવતા એટલે સ્વામિનારાયણ ભગવાને વાવનું નામ રાધાવાવ આપ્યું હતું. સ્વામિનારાયણ ભગવાને વાવની બાજુમાં મંદિર બનાવડાવ્યુ હતુ. જેમાં સિધ્ધેશ્રવર મહાદેવ અને હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવી હતી. માટે આ મંદિર રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિર તરીકે પ્રચલિત છે.
ગઢડામાં આવેલા રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીના મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ આબેહૂબ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ જેવી જ છે. રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે હનુમાનજીની સ્થાપના કર્યા બાદ મંદિરે દરરોજ કરવામાં આવતી સંધ્યા આરતી પછી હનુમાનજદાદા રાધાવાવથી ગઢડા મંદિર જાય છે તેવી લોક વાયકા છે.
રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે હનુમાનજી દાદા અને મહાદેવ ઉપર ભક્તોની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. અહિંના ખેડૂતો પોતાની વાડીમા બોર કરાવતા પહેલા વાડીમાં સારુ પાણી આવે તેના માટે હનુમાનજી દાદાને પ્રાર્થના કરે છે અને તેમની પર દાદાના સદાય આશીર્વાદ રહે છે. એટલે તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે એટલે લોકો હોંશે હોંશે મહાદેવજીને જલાભિષેક અને દાદાને શ્રીફળ વધેરે છે
રાધાવાવને ભગવાન સ્વામિનારાયણે બનાવડાવી છે એટલે, રાધાવાવ પ્રસાદીની વાવ છે રાધાવાવના પગથીયા વાળવાની માનતા રાખવાથી કાનની તકલીફ દૂર થવાની માન્યતા છે. ઘણા ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે રાધાવાવના પગથીયા પર સોપારી પણ મુકે છે. 250 વર્ષ પહેલા બનાવવામાં આવેલી રાધાવાવમાં 100 જેટલા પગથીયા આવેલા છે. રાધાવાવમાં ક્યારેય પાણી ખૂટયું નથી. દુષ્કાળમાં પણ રાધાવાવ હંમેશા પાણીથી ભરેલી જ રહેલી છે.
ગઢડાથી એક કિલોમીટર દૂર ઉગામેડી રોડ પર કુદરતી વાતાવરણમાં આવેલા પૌરાણિક રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિરે મહાદેવ અને હનુમાનજીના દર્શન અલૌકિક અહેસાસ કરાવે છે. ગામના તેમજ દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવે છે. મંદિરે શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજી મંદિર ગઢડા પંથકની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે.