જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. 1960માં પ્રેમભિક્ષુક મહારાજ જામનગરમાં આવ્યા ત્યારે તળાવના કાંઠે મંદિર બંધાવી બાલા હનુમાનદાદાની સ્થાપના કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.
જામનગર શહેરની ઓળખ બાલા હનુમાન
જામનગરના લાખોટા તળાવ કે રણમલ તળાવની લગોલગ બાલા હનુમાન મંદિર આવેલું છે. જ્યાં પહેલી ઓગસ્ટ, 1964થી અખંડ રામધૂન ચાલે છે. 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ એજ ભાવિકોનો દઢ ભક્તિભાવ છે, એક વર્ષમાં 15,768,000 અને 53 વર્ષોમાં 83 કરોડ,57 લાખ 3000 થી વધારે વાર રામ નામ અહિ લેવામાં આવ્યું છે. મોટા ઉત્સવોમાં રામધૂનની ઊર્જાની તીવ્રતાથી રાતના સમયે આ ધૂનનો ગુજારવ સાંભળીને એક અનોખી શાંતિ સાથે શક્તિનો સંચાર થાય છે. આટલી લાંબી આરાધના ને પગલે આ મંદિરના કણે કણમાં રામ નામ વસી ગયું છે, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું છે, અહિ આવતા લોકોને મંદિરના પ્રાંગણમાં પગ મુકતા જ શાંતિનો અહેસાસ થવા માંડે છે.
1964થી ચાલે છે અખંડ રામધૂન
રામ નામ જપ્તા આ વાતાવરણમાં તમામ ચિંતા અને તણાવમાંથી મુક્તિ મળે છે, એટલે સુધી કે તમામ મનોકામના પૂરી થતી હોવાની ભાવિકોની આસ્થા છે. રામાયણમાં લખ્યા મુજબ રામ નામ લેવાથી તમામ દુઃખો દુર થાય છે, અહિ તો કોઈ પણ સમયે રામ નામનો ગુજારવ થતો રહે છે, તો પછી અહિ આવનાર શા માટે રામભક્ત હનુમાન ન બની જાય? જે કોઈ પ્રવાસી એકવાર જામનગર આવે તે અચૂક પણે બાલા હનુમાન મંદિરે તો આવે જ છે, પછી દેશી હોય કે વિદેશી, જ્યારે કે જામનગરના કેટલાક નાગરિકોએ તો ઘરેથી નીકળતા કે ઓફિસથી ઘરે જતા સમયે બાલા હનુમાન મંદિરે દર્શન કરવાનો નિત્ય ક્રમ બનાવી લીધો છે. જામનગર વાસીઓ હાથમાં મંજીરા, ઢોલક, પેટીના સથવારે મુખમાં રામ નામનું રટણ કરવાની આ ક્રિયા રામ ભક્ત હનુમાન બનીને સતત રટતા રહે છે
જામનગરવાસીનો દર્શન કરવાનો નિત્યક્રમ
તળાવની પાળે બિરાજમાન બાલા હનુમાન મંદિરે બહારથી આવતા પ્રવાસીઓ અચૂક મુલાકાત લઇ રામ ભક્તિમાં તરબોળ થાય છે. જામનગર શહેરની ભક્તિની ઓળખ એટલે બાલા હનુમાન મંદિર. મંદિર ખાતે પાંચ પાંચ દાયકાઓથી ચાલી રહેલી શ્રી રામ જય રામ જય જય રામ, શબ્દોની અવિરત ધૂન વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે તા. 1-8-1964ના રોજ પ્રેમ ભિક્ષુજી મહારાજે શરૂ કરેલી આ રામધૂન આજે 60માં વર્ષે પણ અવિરત ચાલતી રહી છે જેને ગીનીશ બૂક દ્વારા વિશ્વની સૌથી લાંબી ધૂન તરીકે સ્થાન આપ્યું છે. બાલા હનુમાન મંદિરે દરરોજ સાંજે 51 દિવડાઓની આરતી થાય છે, તેમજ વર્ષ દરમિયાન રામ નવમી, હનુમાન જયંતી, વિજયા દસમીના દિવસે વિશેષ આરતી કરવામાં આવે છે. જામનગર બાદ દ્વારકા પોરબંદર વગેરે મળીને કુલ 7 જગ્યાએ અખંડ રામધૂન ચાલી રહી છે. સુદામાપુરી પોરબંદર, કૃષ્ણભૂમિ દ્વારકા, પ્રેમ ભિક્ષુજી મહારાજની જન્મભૂમિ મુઝઝફરપુર,રાજકોટ, જૂનાગઢ અને મહુવામાં અખંડ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન અવિરત પણે ગુંજી રહી છે.