ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે કેન્દ્રીય બેંક ક્રિપ્ટો કરન્સી અંગે ચિંતિત છે કારણ કે તે નાણાકીય સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિની જાહેરાત પછી ક્રિપ્ટોકરન્સી વિશે પૂછતાં તેમણે આ જવાબ આપતા કહ્યું હતું કે ક્રિપ્ટો વિશે કોઈ નવી માહિતી નથી. સરકારની એક સમિતિ આ પર કામ કરી રહી છે. ક્રિપ્ટો નાણાકીય સ્થિરતા અને નાણાકીય નીતિને અસર કરી શકે છે. ગયા મહિને, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ક્રિપ્ટોકરન્સી અંગે સ્પષ્ટ નીતિ બનાવવા કહ્યું હતું અને તેની આર્થિક અસર પણ દર્શાવી હતી.
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૫.૫૦% અને સીઆરઆરમાં ૧૦૦ બેસિસ પોઈન્ટ ઘટાડા અંગે, ટોચના બેંકરે જણાવ્યું હતું કે આ નિર્ણય સમયસર સંતુલિત નીતિ પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, જે વૃદ્ધિને સંતુલિત કરવા અને ફુગાવાના દરને નિયંત્રિત કરવાની દિશામાં છે. તેમણે કહ્યું કે, સીઆરઆરમાં ઘટાડો સિસ્ટમમાં ૨.૫ લાખ કરોડની તરલતા લાવશે, જેનાથી બેંકિંગ ક્ષેત્રમાં ધિરાણ ક્ષમતામાં વધારો થશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે બિટકોઇન વેપારને હવાલા જેવા ગેરકાયદેસર વેપાર સમાન ગણાવ્યો હતો. ભારત હાલમાં ક્રિપ્ટોકરન્સી પર ચર્ચા પત્ર તૈયાર કરી રહ્યું છે. આ માટે, એક આંતર-મંત્રી જૂથ કામ કરી રહ્યું છે, જેમાં રિઝર્વ બેંક, સેબી અને નાણા મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ જૂથ વિશ્વભરના નિયમોનો અભ્યાસ કરી રહ્યું છે.
આ ચર્ચા પત્ર તમામ સંબંધિત પક્ષોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક આપશે, જેથી ભારત ક્રિપ્ટોકરન્સી પર તેની નીતિ નક્કી કરી શકે. વર્ષ ૨૦૨૨માં, સરકારે ક્રિપ્ટોકરન્સીથી થતા નફા પર સીધો ૩૦% કર લાદવાની જાહેરાત કરી હતી. જોકે, ક્રિપ્ટોકરન્સીથી થતી આવક પર કર લાદીને ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર ગણવામાં આવી નથી.
ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કોઈ ખાસ નિયમનકારી અવકાશ મળ્યો નથી. અહીં તેમને મની લોન્ડરિંગ વિરોધી કાયદાના દ્રષ્ટિકોણથી નિયંત્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત, આવી વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓના વેપારથી થતી આવક પર આવકવેરો અને ટીડીએસ વસૂલવામાં આવે છે. ઉપરાંત, ક્રિપ્ટો એક્સચેન્જો પર પણ જીએસટી લાગુ પડે છે.
રિઝર્વ બેંક માને છે કે હવે નીતિમાં મર્યાદિત જગ્યા બાકી છે, તેથી દરેક પગલું વિચારપૂર્વક ભરવાનું રહેશે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તે ન્યુટ્રલ નીતિ અપનાવશે. આનો અર્થ એ થયો કે હવે રિઝર્વ બેંક દર વખતે નવા ડેટા જોઈને નક્કી કરશે કે દર ઘટાડવા કે નહીં.
અન્ય એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આરબીઆઈએ તેના તમામ નીતિગત નિર્ણયો પહેલાથી જ લઈ લીધા છે, પછી ભલે તે દરમાં મોટો ઘટાડો હોય કે સીઆરઆર ઘટાડીને બેંકિંગ સિસ્ટમમાં ધીમે ધીમે રોકડ વધારો. હવે બેંકોનો વારો છે કે તેઓ આ સરળ લોન સામાન્ય લોકોને ઝડપથી પહોંચાડે.
જોકે વિશ્વ અર્થતંત્ર થોડું નબળું છે, આરબીઆઈને વિશ્વાસ છે કે ભારતનું અર્થતંત્ર સારી ગતિએ વિકાસ કરશે. આરબીઆઈએ કહ્યું છે કે દેશનો જીડીપી વૃદ્ધિ વર્ષ ૨૦૨૫-૨૬ માં લગભગ ૬.૫% રહી શકે છે. પ્રથમ ક્વાર્ટરમાં ૬.૫%, બીજામાં ૬.૭%, ત્રીજામાં ૬.૬% અને ચોથામાં ૬.૩% વૃદ્ધિનો અંદાજ છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે પરિસ્થિતિ સારી છે, પરંતુ દેશમાં લોકોની ખરીદ શક્તિ અને કંપનીઓના રોકાણમાં વધારો કરવો જરૂરી છે.