ભારતે અરબ સાગરમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, ‘જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિંદૂરમાં સંપૂર્ણ ક્ષમતા સાથે ઉતર્યું હોત તો પાકિસ્તાન ચાર ભાગમાં વહેંચાઈ ગયું હોત.’
Interacting with India’s brave Naval warriors aboard INS Vikrant. https://t.co/iu5Wptyu3o
— Rajnath Singh (@rajnathsingh) May 30, 2025
નેવીના જવાનોને સલામ કરતાં તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી દેશની દરિયાઈ સરહદો મારા હાથમાં છે ત્યાં સુધી કોઈ ભારત તરફ ખરાબ નજર નાખી શકે નહીં.’ તેમજ આતંકવાદ પર પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે. સંરક્ષણ મંત્રીએ INS વિક્રાંતની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન નેવીએ કેવી ભૂમિકા ભજવી હતી.
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને આપી ચેતવણી
રાજનાથ સિંહે ફરી પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપી દેવા જોઈએ. હાફિઝ સઈદ મુંબઈ હુમલામાં સામેલ હતો અને તેને જવાબદાર ઠેરવવામાં આવશે. અમે આતંકવાદ સામે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરીશું જે પાકિસ્તાન વિચારી પણ ન શકે.’
રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘આ વખતે જો પાકિસ્તાન કંઈ કરશે તો આપણી નેવી ઓપનિંગ કરશે. પછી તો ભગવાન જ જાણે કે પાકિસ્તાનનું શું થશે! જો આ વખતે નેવી પણ સામેલ થઇ હોત તો પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ ગયું હોત. 1971માં જ્યારે નેવી સામેલ થઇ હતી ત્યારે તે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.’