ભગવાન શ્રી રામનું નામ લેવાય એટલે બજરંગ બલીને પણ યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં વિવિધ સ્વરૂપે પૂજાતા બજરંગબલીનું પંચમુખી સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ, ફળદાઇ અને ચમત્કારિક માનવામાં આવે છે. વલસાડમાં કપરાડાના છેવાડે આવેલા ગામ મોટી તંબાડીમાં સ્વયંભૂ પ્રગટ પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલુ છે. દાદાનું આ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે, 300 વર્ષ પહેલા મોટી તંબાડી ગામની બાજુમાં આવેલા વાઘછીપા ગામમાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા. ગામના કેટલાક લોકોના સ્વપ્નમાં આવી હનુમાનજી મહારાજે પોતાને અન્ય જગ્યાએ બિરાજવાનું સૂચન કર્યુ હતું એટલે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિને વાઘછીપાની બાજુમાં આવેલા મોટી તંબાડી ગામમાં લાવી તેમની સ્થાપના કરી હતી.
મોટી તંબાડીના પંચમુખી હનુમાનજીની મૂર્તિને ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સ્વયંભૂ પ્રગટ થયેલા પંચમુખી હનુમાનજીનું આ એકમાત્ર મંદિર છે. એટલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટે છે. આખા વર્ષ દરમિયાન આ મંદિર પર સતત શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિવાર, મંગળવાર અને અન્ય વારે તહેવારે મંદિર મેળાનો માહોલ સર્જાય છે. દૂરદૂરથી ભક્તો અહીં હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં રામનવમી, હનુમાન જયંતિ અને બીજા તમામ તહેવારોની ભારે ધૂમધામ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરમાં રામ, લક્ષમણ, જાનકી અને રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે. વહેલી સવારે અને સાંજે 7 વાગ્યે મંદિરમાં કરવામાં આરતી સમયે મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાય છે.
હનુમાનજી દાદા તમામ ભક્તોના જીવનના તમામ કષ્ટ અને મુસીબતોનો પળવારમાં જ નાશ કરી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ તમામ વિઘ્નોને હરી લોકોને કષ્ટ અને મુશ્કેલીઓમાંથી ઉગારનારો હોવાનું માનવામાં આવે છે. મંદિરે આવતા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. અને દાદાની આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકભકતોનું માનવું છે કે આ સ્વયંભૂ પ્રગટ થયેલા પંચમુખી હનુમાનજી સામે માથું ટેકવાથી કાંઈ કહ્યા વિના જ તેમના દુઃખોનો અંત આવે છે.અને મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે.
સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તો અહીં દાદાના દર્શને ઉમટે છે. શનિવાર, મંગળવાર, વર્ષના અન્ય વાર તહેવાર અને હનુમાન જયંતીના દિવસે મંદિરે દિવસભર ભજન, સત્સંગ, હનુમંત યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિવસભર ભક્તોની ભારે ભીડ જામે છે. અને દાદાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહી દાદાની અસીમ કૃપાના આશીર્વાદ મેળવે છે..
આદિવાસી વસ્તી ધરાવતા નાનકડા ગામ મોટી તંબાડીમાં બિરાજમાન પંચમુખી હનુમાનજી મહારાજ હોવાથી ગામની કીર્તિ ચોમેર પ્રસરી રહી છે. દાદાના આશીર્વાદ હંમેશા ગામ પર વરસતા રહે છે. ગામના લોકો કોઈપણ શુભ કાર્ય કરે ત્યારે સૌ પહેલા અચૂક દાદાના આશીર્વાદ મેળવે છે. ગામની કોઈપણ સમસ્યા હોય તો તેનું નિવારણ દાદા અચૂક લાવી દે છે. અને એટલે જ ગામના લોકો પંચમુખી હનુમાનજી મહારાજ હાજરાહજૂર હોવાની અતૂટ શ્રદ્ધા રાખે છે.
હનુમાન ચાલીસાનું પઠન મનની અશાંતિને હરનારું માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજી મહારાજનું સ્વરૂપ અને તે પણ સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી મહારાજનું સ્વરૂપનું વિશેષ મહત્વ ધરાવે છે. નાનકડા મોટી તંબાડી ગામમાં બિરાજતા હનુમાનજી મહારાજની કૃપા અને આશીર્વાદ લોકો પર સદાય રહે છે અને એટલે આ વિસ્તારના અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે દાદા તમામ દુઃખો હરનારા અને તેમનું રક્ષણ કરી રહ્યા હોવાની માન્યતા છે.