આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મોહનલાલ મંદાણી (નિવૃત્ત આસિસ્ટન્ટ લેબર કમિશનરશ્રી, સંશોધક – લેખક અને જાણીતા અધિવકતા) ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઈ પટેલ (માન. સંઘચાલક, ગુજરાત પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિચાર પ્રવાહ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રફુલભાઈ સાવલિયાએ સૌનું સ્વાગત કર્યું હતું તથા વિચાર ભારતીના તંત્રી ચંદ્રકાંતભાઈ દવેએ કાર્યક્રમ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ અવસરે પ્રદીપજી જોશીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે સંઘ એ માત્ર સંગઠન જ નહીં પણ એક વિચારયાત્રા છે. આ વિચારયાત્રાને સમજવા માટે તેની વૈચારિક ઊંડાઈને સમજવી પડે. સંઘનું ચિંતન હંમેશા દીર્ઘકાલીન રહ્યું છે. એટલે વર્ષો પહેલા કરેલા ચિંતન અને કાર્યોનું પરિણામ હવે આપણે ધીમે ધીમે થતું જોઈ રહ્યા છીએ. તેમણે સંઘના પાંચમાં સરસંઘચાલજી માન. સુદર્શનજીની સ્મૃતિને વાગોળીને કહ્યું હતું કે, વર્ષો પહેલા સુદર્શનજી 2012 પછી ભારતના સૂર્યોદયની વાત પ્રમાણો સાથે કરતા હતા. ત્યારે બધાના મનમાં સંશય થતો હતો કે આ કેવી રીતે શક્ય છે ? પરંતુ એવું પરિવર્તન આપણે સૌએ નિહાળ્યું છે અને હજુ આગળ જોઈ રહ્યા છીએ. જે સંઘની કાર્યપદ્ધતિ અને તેના દીર્ઘકાલીન કાર્યનું પ્રમાણ છે. આ સાથે તેમને ભારત સામેના પડકારો અને વર્તમાનમાં રાષ્ટ્રીયત્વ માટે વધુ સંગઠિત થઈ અને મજબૂત થઈને કામ કરવાની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં વિમોચન થયેલ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંક કુલ 2 સંપુટમાં પ્રકાશિત થયો છે. જેના સંપુટ 1માં સંઘના પ્રારંભ થવાથી લઈ તેના વિચાર, ચિંતન, કાર્યપદ્ધતિ અને સંગ કાર્યના વ્યાપ ઉપર દ્રષ્ટિગોચર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે સંપુટ 2માં સંઘના વૈચારિક ચિંતનથી લઈ સમાજમાં તેના વિવિધ આયામો અને ભૂમિકા ઉપર માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની દિશામાં આ વિશેષાંક સમાજના તમામ લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે તેવી મંચસ્થ મહાનુભાવો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમના અંતમાં વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગણમાન્ય લોકો અને વાચકોની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.