ભારતીય પ્રતિનિધિમંડળ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ભારતના પક્ષની માહિતી માટે હાલ અમેરિકામાં છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકા તરફથી એક મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. અમેરિકાના નાયબ વિદેશ સચિવ ક્રિસ્ટોફર લેન્ડાઉએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે. આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વ હેઠળ અમેરિકામાં છે.
શશી થરૂરના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે અમેરિકાના નાયબ વિદેશ સચિવ લેન્ડાઉ સાથે વાતચીત કરી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે તેમને પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું, આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે. અમે બંને દેશોમાં વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વેપાર અને વાણિજ્યિક સંબંધોના વિસ્તરણ સહિત અમેરિકા-ભારત વ્યૂહાત્મક સંબંધો પર ચર્ચા કરી.
અમેરિકાના નાયબ વિદેશ સચિવ લેન્ડાઉએ આતંકવાદ સામેની લડાઈ અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ભારતને અમેરિકાના મજબૂત સમર્થનની પુષ્ટિ કરી. આ નિવેદન અનુસાર પ્રતિનિધિમંડળે લેન્ડાઉ સાથે બંને દેશોમાં આર્થિક વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વેપાર અને વાણિજ્યિક સંબંધોના વિસ્તરણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના મહત્વ પર ચર્ચા કરી.
દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડાઉ સાથેની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે તેમને પહલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા વિશે માહિતી આપી. તેમજ ભારતના ઓપરેશન સિંદૂર વિશે ચર્ચા કરી અને સરહદ પાર આતંકવાદના તમામ સ્વરૂપોનો સામનો કરવા માટે ભારતના દૃઢ નિશ્ચયનો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાનનો આતંકવાદના ચહેરાનો પર્દાફાશ કર્યો.
ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને અમેરિકાના મજબૂત સમર્થનની પુષ્ટિ કરી. બંને પક્ષોએ પરસ્પર હિતોના ક્ષેત્રોમાં સહયોગ વધારીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મહત્વ પર પણ વ્યાપક ચર્ચા કરી. પ્રતિનિધિમંડળે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના સભ્ય સેનેટર ક્રિસ વાન હોલેન સાથે પણ વાતચીત કરી અને તેમને પાકિસ્તાન સમર્થિત આતંકવાદના ખતરા વિશે માહિતી આપી. જેણે ભારત અને અમેરિકા બંનેને અસર કરી છે. સેનેટરએ ભારતમાં વારંવાર થયેલા આતંકવાદી હુમલાઓના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઉભું છે.
થરૂરે યુએસ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના સભ્ય સેનેટર કોરી બુકર સાથે પણ ફોન પર વાત કરી અને વાતચીતને સફળ ગણાવી. થરૂરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં સરફરાઝ અહેમદ, ગંતી હરીશ મધુર બાલયોગી , શશાંક મણિ ત્રિપાઠી , ભુવનેશ્વર કલિતા , મિલિંદ દેવરા અને તેજસ્વી સૂર્યાનો પણ સમાવેશ થાય છે.