ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ રચનાત્મક સેવાસંસ્થા શિશુવિહાર દ્વારા માનભાઈ ભટ્ટનાં પરંપરાના માનવસેવાનાં પ્રેરક કાર્યો ઉપક્રમો ચાલી રહ્યાં છે, જ્યાં પ્રજાસત્તાક પર્વે મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો.
માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ શિશુવિહાર પ્રત્યે કાયમી વંદના ભાવ રહ્યાનું જણાવી જળ અને સંવેદનાનાં વિસ્તૃત અર્થ સાથે આ પ્રસંગ સંદર્ભે કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે. પરંપરા જડ નહિ પરંતુ, પ્રવાહી અને પવિત્ર તથા પરોપકારી હોવી જોઈએ તેમ જણાવી આવી વ્યક્તિઓની આરતી કરી રહ્યાનો સદભાવ વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમમાં સેવાભાવી તબીબો નટુભાઈ રાજપરા તથા છોટાલાલ વર્મા, રચનાત્મક કાર્યકર્તાઓ અનુપમભાઈ દોશી તથા જિજ્ઞાબેન દવે અને પ્રમાણિક અધિકારી રહેલાં મધુકાંતભાઈ ભાલાળા સન્માનિત થયાં.
મહાનુભાવોનાં હસ્તે દીપપ્રાગટ્ય સાથે સ્વાતિબેન પાઠક દ્વારા ભજન ગાન થયેલ.
શિશુવિહાર સંસ્થાનાં મંત્રી નાનકભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત અને પ્રવૃત્તિની ભૂમિકા આપતાં કહ્યું કે, માનભાઈ ભટ્ટ દ્વારા મૂલ્યો રોપવાનું કાર્ય થયું છે, તે આગળ વધી રહ્યું છે અને આ ઉપક્રમ તળે આજ સુધીમાં ૧૧૧ વ્યક્તિઓનું અભિવાદન થયું છે.
છાયાબેન પારેખનાં સંચાલન સાથે અંહિયા સન્માનિતોએ પોતાનાં કાર્યનો ટુંક ઉલ્લેખ સાથે રાજીપો વ્યક્ત કર્યો.
સંસ્થાનાં પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે અહોભાવ સાથે સૌનાં પ્રત્યે આભાર દર્શન કરેલ.
મંત્રી ઈંદાબેન ભટ્ટ અને કાર્યકર્તાઓનાં સંકલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં જયંતભાઈ વનાણી સહિત સામાજિક, શૈક્ષણિક અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.