કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે, તેમ કહ્યું.
તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં મોરારિબાપુ દ્વારા કથા પ્રસંગ વર્ણનમાં ભારદ્વાજજી અને યાજ્ઞવલ્કજી સંવાદ પ્રસ્તુત કરતાં રામ તત્વ દર્શન કરાવેલ અને રામ તત્ત્વ જાણતાં પહેલાં શિવ તત્ત્વ જાણવાં પર ભાર મૂક્યો. કથાનાં કેન્દ્રમાં રહેલઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે, તેમ કહ્યું.
મોરારિબાપુએ સનાતન ધર્મ સાથે થઈ રહેલાં ચંચુપાતો અને મનઘડંત અર્થ-અનર્થ સામે હળવો રંજ વ્યક્ત કરી તળપદી ભાષામાં ‘દંદુદી’ ગણાવી શિવ અને સનાતન એ તો મોટી ધારા રહ્યાનું ઉમેર્યું.
રામકથામાં યુવાનોને પંચશીલરૂપ પાંચ સૂત્રોમાં કહ્યું કે, લઘુ રહેવું, જાતનું મૂલ્યાંકન કરવું, સંવાદ કરવો, ઘટનાઓનો ક્ષોભ ન કરવો અને બધાનો સ્વીકાર કરવો. યુવાનો માટે પાંચ બળ ગણાવતાં શરીર, બુદ્ધિ, વૈરાગ્ય, પ્રાણ અને જ્ઞાન બળ અંગે સમજ આપી.
તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં મનોરથી પ્રવિણભાઈ તન્ના અને સાથે અગ્રણી સેવકોનાં સંકલનથી મોટીસંખ્યામાં ભાવિકો રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરી રહ્યાં છે.