શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે” આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાના ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે મોડાસામાં બિરાજમાન મા ઉમિયા. આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે. સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા… મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે. અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઘરજ રોડ પર શ્રી ઉમિયા માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. મોડાસાનું ઉમિયા મંદિર મીની ઊંઝા ધામ તરીકે પણ ઓળખાય છે. મુખ્યમાર્ગ પર જ આ મંદિર આવેલુ હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે.
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા
મોડાસાનું ઉમિયા માતાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન બની ગયું છે. જે ભક્તો ઊંઝા સુધી યાત્રા કરી શકતા નથી, તેઓ માટે મોડાસાનું ઉમિયાધામ મીની ઊંઝા તરીકે ઓળખાય છે, જ્યાં માતાજીના દર્શન કરી ભાવિકો ધન્ય અનુભવ કરે છે.
દર રવિવારે અહીં વિશેષ ભીડ જોવા મળે છે, જ્યાં વહેલી સવારથી જ ભક્તો માતાજીની આરાધનામાં લીન થઈ જાય છે. ખાસ કરીને તહેવારો અને પ્રસંગોએ માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે, અને સવારે 5 વાગ્યે યોજાતી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. રાતથી ભક્તો આરતીમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહે છે, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રૂપાંતરિત થઈ જાય છે.
મોડાસાના મેઘરજ રોડ પર સ્થિત આ ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. અખંડ જ્યોત ઊંઝાથી લાવવામાં આવી હતી, જે બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, અને આજ સુધી હજારો લોકોની શ્રદ્ધા આ ધામ સાથે સંકળાયેલી છે. પરિવાર સાથે દર્શન માટે આવતા ભક્તો માટે આ સ્થાન એક પવિત્ર અને શાંત ધામ બની ગયું છે.