આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક,આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ દ્વારા કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ, સારસા ખાતે સવારે ૮:૩૦ થી બપોરે ૩ દરમિયાન આયુષ મેળા (નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય જગદ્દગુરુશ્રી અવિચલદેવાચાર્ય, પ્રકાશભાઈ પટેલ (ચેરમેન, આરોગ્ય સમિતિ,આણંદ),સંજયભાઈ પટેલ (સદસ્ય, જિલ્લા પંચાયત, આણંદ) શશિકાંતભાઈ પટેલ (ચેરમેન, એમવીએસ હાઈસ્કૂલ),હર્ષદભાઈ પટેલ(ચેરમેન, સેવા સહકારી મંડળી) અને સત કૈવલ આંખની હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીનાબેન પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, ઘર આંગણાની વનસ્પતિ, રસોડાની ઔષધિઓનું પ્રદર્શન, યોગ ચિત્ર સ્પર્ધા, યોગ નિદર્શન અને આઈસીડીએસ વિભાગ, આણંદની મદદથી મિલેટ વાનગી સ્પર્ધા/પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
વૈદ્ય મયુર જે. મશરૂ (વૈદ્ય પંચકર્મ/નાયબ અધિક્ષકશ્રી, વર્ગ-૧)ના માર્ગદર્શન હેઠળ સત કૈવલ આંખની હોસ્પિટલ, સારસાના સહયોગથી તથા જીલ્લા આયુર્વેદ શાખા આણંદ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવના સહકારથી આ આયોજન સફળ બન્યું હતું. હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ ખાતે કેમ્પ બાદ તમામ પ્રકારની આયુર્વેદ-હોમિયોપેથી નિદાન, દવાઓ અને આઈ.પી.ડી.માં રહેવા-જમવા-પંચકર્મ સારવાર વિના મૂલ્યે દૈનિક ધોરણે આપવામાં આવશે. જાહેર જનતાને આ સેવાઓનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે.
આયુષ મેળાના મુખ્ય આંકડા:
આયુર્વેદ નિદાન સારવાર ઓપીડી: ૨૩૨
હોમિયોપેથી નિદાન સારવાર ઓપીડી: ૭૦
સ્વસ્થવૃત (આયુ/હોમિયો), ઔષધીય વનસ્પતિ અને રસોડાના ઔષધીઓનું તથા આયુષ ચાર્ટ પ્રદર્શન: ૭૦૨
મિલેટ વાનગી પ્રદર્શન: ૧૭૭
યોગ નિદર્શન લાભાર્થી: ૧૨૯
સ્ક્રીનીંગ ઓપીડી (ડાયાબિટીસ/બ્લડ પ્રેશર): ૨૦૫
સુવર્ણપ્રાશન લાભાર્થી: ૧૮૦
પ્રકૃતિ પરીક્ષણ: ૨૯
કુલ આયુષ મેળા લાભાર્થી: ૧૭૨૨