પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસ સ્ટેશન યાત્રિકો માટે મોખરાની સુવિધાઓ સાથે સેવા આપવાનું કાર્ય શરૂ કરશે.
આ નવું બસ સ્ટેશન ૪૪૬૦ ચો.મી. વિસ્તારમાં વિસ્તરાયેલું છે અને તેમાં કુલ ૭ પ્લેટફોર્મ, પેસેન્જર વેઈટીંગ એરિયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ અને પાર્સલ રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહીને મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “શંખેશ્વર તીર્થ દેશભરના લાખો ભાવિકો માટે શ્રદ્ધાસ્થળ છે. હું જ્યારે પ્રથમ વખત દાદાના દર્શન માટે આવ્યો હતો, ત્યારે ગામના આગેવાનોએ બસ સ્ટેશનની જરૂરિયાત દર્શાવી હતી. ત્યારે મેં વચન આપ્યું હતું કે અહીં જલ્દી બસ સ્ટેશન બનાવાશે. આજે તે વચન પૂરું કરી શકાયો તે માટે હું આનંદ અનુભવું છું.”
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “આવનાર સમયગાળામાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવી મુખ્ય શહેરોથી શંખેશ્વર માટે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે ભાવિકો ઓછા ભાડામાં સરળતાથી દાદાના દર્શન માટે આવી શકશે
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણના જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, એસ.ટી. વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અદ્યતન બસ સ્ટેશન શંખેશ્વર તીર્થમાં આવતા યાત્રાળુઓ માટે રાહતરૂપ સાબિત થશે અને સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે તેવી આશા વ્યકત થઈ રહી છે.