ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ તેની રિલીઝના માત્ર એક દિવસ પહેલા જ અટકાવવામાં આવી છે. કેરળ હાઇકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બે અઠવાડિયાં માટે વચગાળાની રોક (Stay) લગાવી દીધી છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશભરમાં રિલીઝ થવાની હતી.
ફિલ્મ વિરુદ્ધ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ફિલ્મ કેરળ રાજ્ય અને તેના લોકસમુદાયની છબી ખરડતી દર્શાવે છે. અરજદારોએ વિનંતી કરી છે કે, ફિલ્મને આપવામાં આવેલું સેન્સર સર્ટિફિકેટ રદ કરવામાં આવે. સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જણાવ્યું કે દલીલો પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે. કોર્ટે સેન્સર બોર્ડ પર પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે ફિલ્મને મંજૂરી આપતી વખતે કોઈ જાતનું યોગ્ય વિચાર વિમર્શ (due diligence) કરવામાં આવ્યું નથી. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે અરજદારોની દલીલો થોડી વ્યાજબી લાગે છે અને તે અંગે ધ્યાન આપવું જરૂરી છે.
બીજી તરફ, ફિલ્મના નિર્માતાઓ આ વચગાળાની રોકને પડકારવા માટે સિંગલ જજ બેન્ચના આદેશને કેરળ હાઇકોર્ટની મોટી બેન્ચ સમક્ષ લઈ જઈ શકે છે, અથવા તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સમયસર રિલીઝ કરવાની માંગ કરી શકે છે. પરંતુ હાલમાં ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે.
ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને દિગ્દર્શક કામાખ્યા નારાયણ સિંઘ દ્વારા બનાવાયેલી આ ફિલ્મની પૃષ્ઠભૂમિ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે. સેન્સર બોર્ડે ફિલ્મને પહેલાં 16 સુધારાઓ સૂચવીને મંજૂરી આપી હતી, પરંતુ હવે કોર્ટની કાર્યવાહીથી રિલીઝ અટકી ગઈ છે. આ ઘટનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા અને વિવાદ શરૂ થઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel