ભાવનગર જિલ્લાના પાલિતાણા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા રાજસ્થળી વીડી વિસ્તારમાં 1,690 જેટલાં વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખતો મહત્વપૂર્ણ અને અનોખો આદેશ આપ્યો છે. કેસમાં આરોપી ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભીને જામીન આપતાં હાઈકોર્ટે બંનેને કુલ 1,700 વૃક્ષો વાવી ત્રણ વર્ષ સુધી પોતાના ખર્ચે તેની જાળવણી કરવાની શરત મૂકી છે.
1690 વૃક્ષોના ગેરકાયદે કટિંગથી મચ્યો હતો ખળભળાટ
પાલિતાણાના રાજસ્થળી વીડી વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો મામલો મે 2026માં સામે આવ્યો હતો. તપાસમાં લગભગ 1,690 વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. રાજસ્થળી વીડી આશરે 563 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું મહત્વપૂર્ણ વન ક્ષેત્ર છે. અહીં સિંહ, દીપડા, ચિંકારા, ચિતલ, નીલગાય સહિત અનેક વન્યજીવોનું આવાસ અને અવરજવરનું ક્ષેત્ર આવેલું છે.
આ વિસ્તારમાં લીમડો, ગૂગળ અને બાવળ સહિતનાં વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. કેટલાક વૃક્ષો વર્ષો જૂના અને મોટા કદના હોવાનું પણ નોંધાયું હતું.
લાકડાથી ભરેલું વાહન ઝડપાયા બાદ ખુલ્યો સમગ્ર મામલો
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 9 મેના રોજ થયો હતો, જ્યારે વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા લાકડાનો જથ્થો લઈ જતું વાહન ઝડપી પાડ્યું હતું. શરૂઆતમાં આ એક છૂટક લાકડાની હેરાફેરીનો કેસ હોવાનું માનવામાં આવ્યું, પરંતુ ત્યારબાદની તપાસમાં અનેક સપ્તાહથી મોટા પાયે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બહાર આવ્યું.
આ મામલે ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભી સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પણ કેસ નોંધાયો હતો.
ગુજરાત હાઈકોર્ટે બંને આરોપીઓના જામીન મંજૂર કર્યા
કેસમાં જેલમાં રહેલા કરશન ગોહિલ અને કલ્પેશ ડાભીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. સુનાવણી દરમિયાન બંનેએ પર્યાવરણને થયેલા નુકસાન બદલ પસ્તાવો દર્શાવવા વૃક્ષારોપણ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જસ્ટિસ એચ. ડી. સુથારે બંને આરોપીઓને કેટલીક વિશેષ શરતો સાથે જામીન આપવાનો નિર્ણય કર્યો.
વ્યક્તિદીઠ 850 વૃક્ષો, કુલ 1700 વૃક્ષો વાવવા પડશે
હાઈકોર્ટના આદેશ મુજબ, બંને આરોપીઓએ જેલમાંથી વાસ્તવિક મુક્તિ મળ્યાના 15 દિવસની અંદર વ્યક્તિદીઠ 850 વૃક્ષો, એટલે કે કુલ 1,700 ફોરેસ્ટ્રી પ્રજાતિના વૃક્ષો પોતાના ખર્ચે વાવવાના રહેશે. વૃક્ષારોપણ રાજસ્થળી બીટ અથવા પાલિતાણા ટેરિટોરિયલ રેન્જ દ્વારા નક્કી કરવામાં આવેલા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં કરવાનું રહેશે.
ત્રણ વર્ષ સુધી પોતાના ખર્ચે જાળવણી કરવાની જવાબદારી
માત્ર વૃક્ષો વાવી દેવાથી આરોપીઓની જવાબદારી પૂર્ણ નહીં થાય. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વાવવામાં આવેલા વૃક્ષોની ત્રણ વર્ષ સુધી યોગ્ય દેખરેખ, જાળવણી અને ઉછેરનો ખર્ચ પણ બંને આરોપીઓએ પોતે જ ઉઠાવવો પડશે.
વૃક્ષારોપણની કામગીરી પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવશે, જ્યારે ભાવનગર ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવશે. સંબંધિત અધિકારીઓને વૃક્ષારોપણ અને તેની જાળવણી અંગે સમયાંતરે ટ્રાયલ કોર્ટ સમક્ષ પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
શરતનો ભંગ થયો તો જામીન થઈ શકે છે રદ
હાઈકોર્ટે ખાસ ચેતવણી આપી છે કે વૃક્ષારોપણ અથવા તેની જાળવણી અંગે મૂકવામાં આવેલી શરતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે આરોપીઓના જામીન રદ થવાનું કારણ બની શકે છે.
આ રીતે ગુજરાત હાઈકોર્ટનો આદેશ માત્ર આરોપીઓને જામીન આપવાનો નિર્ણય નથી, પરંતુ પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ માટે restorative justice એટલે કે પુનઃસ્થાપનાત્મક ન્યાયનું મહત્વપૂર્ણ ઉદાહરણ પણ બની રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat