આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પરથી સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની નૃશંસ હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આરોપીને તપાસ માટે આણંદ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ ટીમ પર ચપ્પુ વડે જાનલેવા હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વ-બચાવ અને આત્મરક્ષણમાં કરેલા ગોળીબારમાં આરોપીનું મોત નીપજ્યું છે.
9:15 વાગ્યે પ્લેટફોર્મ પરથી થઈ હતી બાળકી ગાયબ
મળતી માહિતી મુજબ, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રાત્રિના આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેને દોડતી ટ્રેન નીચે ફેંકી દઈ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
CCTV ફૂટેજના આધારે આરોપી ઝડપાયો
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા રેલવે વિભાગના SP અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. FSLની ટીમે સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા.
તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સોંપ્યો હતો.
ઉલટીનું બહાનું કાઢી પોલીસ પર ચપ્પુ વડે હુમલો
ધરપકડ બાદ જ્યારે LCBની ટીમ આરોપીને લઈને આણંદ આવી રહી હતી ત્યારે રસ્તામાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. આરોપી સુરેશ પરમારે ઉલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. ગાડી ઊભી રહેતા જ તેણે પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર અચાનક હિંસક હુમલો કર્યો હતો.
આ હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને આત્મસમર્પણ કરવા વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ આરોપી વધુ ઉગ્ર બની હુમલો કરતો રહ્યો હતો.
આત્મરક્ષણમાં પોલીસે ચલાવી ગોળી
પોલીસે કાયદો-વ્યવસ્થા અને સ્વ-બચાવમાં જવાબી કાર્યવાહી કરતા ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસની ગોળી વાગતા આરોપી લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
હાલ આરોપી સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel