અમેરીકામાં રહેતા ભારતીયો માટે એક નવો આર્થિક ઝટકો આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસન એક નવા કાયદા અંતર્ગત રેમિટન્સ એટલે કે અન્ય દેશોમાં પૈસા મોકલવા પર 3.5% એક્સાઇઝ ટેક્સ લગાવવાનો નિર્ણય લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અમેરિકામાંથી ભારત પૈસા મોકલવા પર કોઇ પણ ટેક્સ લાગતો ન હતો, પણ હવે આ બદલાવથી મોટા પ્રમાણમાં ભારતીય પરિવારો પર આર્થિક અસર પડી શકે છે.
હાલની પરિસ્થિતિ શું છે?
હમણાં જો કોઈ ભારતીય પોતાની કમાણીનો હિસ્સો ભારતમાં પોતાના પરિવારને મોકલે છે, તો આખી જ રકમ તે સુધી પહોંચે છે અને મોકલનારને કોઇ જુદો ટેક્સ નથી આપવો પડતો. પણ હવે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાવવામાં આવેલા નવા બિલ – ‘વન બિગ બ્યુટીફુલ બિલ’માં એવો પ્રસ્તાવ છે કે જો કોઇ નોન-અમેરિકન નાગરિક વિદેશમાં પૈસા મોકલે છે, તો 3.5% એક્સાઇઝ ટેક્સ ચૂકવવો પડશે. પહેલા આ દર 5% રાખવાનો વિચાર હતો.
કેવી રીતે અસર થશે?
વિશ્વ બેંકના 2024ના આંકડાઓ પ્રમાણે ભારત દર વર્ષે અંદાજે 129 અબજ ડોલર રેમિટન્સ સ્વીકારી રહ્યું છે, જેમાંથી આશરે 33 અબજ ડોલર માત્ર અમેરિકામાંથી આવે છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે ભારત માટે આ કેટલી મોટી રકમ છે. GTRI સંસ્થાના કહેવા પ્રમાણે, નવા ટેક્સના કારણે રેમિટન્સમાં 10-15%નો ઘટાડો થઈ શકે છે, જેની અર્થતંત્ર પર નકારાત્મક અસર થઈ શકે છે.
ટેક્સની ગણતરી કેવી રહેશે?
ધારો કે કોઈ NRI ભારતમાં 1,000 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 83,000 મોકલે છે, તો તેને રૂપિયા 2,900 એટલે અંદાજે 35 ડોલર ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ વ્યક્તિ કોઈ મોટો ખર્ચ કરવા માટે જેમ કે શૈક્ષણિક ફી કે મિલકત ખરીદવા માટે 10,000 ડોલર મોકલે છે, તો તેને રૂપિયા 29,000 જેટલો એટલે કે અંદાજે 350 ડોલર ટેક્સ લાગશે.
કયા લોકોને અસર પડશે?
આ ટેક્સ ખાસ કરીને એવા લોકો માટે લાગૂ થશે જેમ કે H-1B, L-1, F-1 વિઝા ધારકો અને ગ્રીન કાર્ડ ધરાવતા નાગરિકો. મહત્વની બાબત એ છે કે આ ટેક્સ ઇન્કમ ટેક્સથી અલગ છે. તમે કમાણી પર ઇન્કમ ટેક્સ ચૂકવી ચૂક્યા પછી પણ, જો તમે પૈસા વિદેશ મોકલો છો તો એ પર 3.5% ટેક્સ લાગશે.
ઉદાહરણથી સમજો
જો કોઈ વ્યક્તિ દર મહિને 1,000 ડોલર પોતાના પરિવારને મોકલે છે, તો તેને વાર્ષિક 420 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 35,000 ટેક્સ વધુ ચુકવવો પડશે. આટલું જ નહીં, ભવિષ્યમાં જો કોઇ ટ્રાન્ઝેક્શન 5,000 ડોલર કરતાં વધુનું હશે તો એ પર વધારાની તપાસ અને કડક KYC નિયમો લાગૂ થશે.
આર્થિક દૃષ્ટિકોણથી શું અસર થશે?
ભારત દુનિયાનો સૌથી મોટો રેમિટન્સ મેળવનાર દેશ છે અને આવકનો મોટો હિસ્સો અમેરિકામાંથી આવે છે. આમ, રેમિટન્સમાં ઘટાડો દેશના વિદેશી ભંડોળ, પરિવારોની આવક અને નાની-મોટી વેપારી પ્રવૃત્તિઓ પર અસર પાડી શકે છે. ઘરેલું ખર્ચ જેમ કે શિક્ષણ, આરોગ્ય અને ભાડું ભરવું મુશ્કેલ બની શકે છે. રિયલ એસ્ટેટ અને શેરબજાર જેવા ક્ષેત્રો પર પણ અસર થવાની શક્યતા છે.
NRI માટે શું કરી શકાય?
વિશેષજ્ઞોનું કહેવું છે કે NRI લોકો નાના-નાના ભાગોમાં વારંવાર પૈસા મોકલવાને બદલે મોટી રકમને એક વખતમાં મોકલવાનું આયોજન કરે તો ટેક્સનો ભાર ઓછો થઈ શકે છે. જોકે આ બધું આગળ કાયદો કેવો બને છે તેના પર આધાર રાખે છે.
DTAAના દૃષ્ટિકોણથી જુઓ તો?
કેટલાક વિશેષજ્ઞો માને છે કે આ ટેક્સ ભારત-અમેરિકા ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટના નિયમોના વિરુદ્ધ હોઈ શકે છે. જોકે કેટલાક કહે છે કે DTAA માત્ર ઇન્કમ ટેક્સ માટે લાગુ પડે છે, ટ્રાન્ઝેક્શન ટેક્સ માટે નહીં. આમ, આ મુદ્દે હજી ચર્ચા ચાલી રહી છે અને અંતિમ નિર્ણય કાયદાના આખરી સ્વરૂપ પર આધાર રાખશે.
ટ્રમ્પ પ્રશાસનના નવા 3.5% રેમિટન્સ ટેક્સના પ્રસ્તાવથી NRI માટે પોતાના નિકટજનોને પૈસા મોકલવા વધુ મોંઘું પડશે. આના કારણે ન ફક્ત વ્યક્તિગત પરિવારોને ફાઇનાન્શિયલ અસર થશે, પણ ભારતની અર્થવ્યવસ્થા અને રોકાણના વિવિધ ક્ષેત્રો પર પણ તેની અસર પડશે.