પાસપોર્ટમાં ફેરફાર કરવો હંમેશા એક જટિલ પ્રક્રિયા રહી છે. અગાઉ, લોકોને અરજીમાં તેમના જીવનસાથીનું નામ ઉમેરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને રજીસ્ટ્રેશન પણ કરાવવું પડતું હતું. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેથી તમે હવે મેરેજ સર્ટિફિકેટ વગર પણ પાસપોર્ટમાં તમારા જીવનસાથીનું નામ ઉમેરી શકશો.
મેરેજ સર્ટિફિકેટની જરૂર નહીં રહે
પહેલાં પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. તેમજ આ માટે મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવું ફરજીયાત હતું. પરંતુ હવે નિયમ બદલાતા તમે મેરેજ સર્ટિફિકેટ વગર જ તમારા પાસપોર્ટમાં તમારા જીવનસાથીનું નામ ઉમેરી શકશો. આ માટે તમારે ફક્ત તમારા બંનેનો ફોટો શેર કરવાનો રહેશે અને તેના પર બંનેની સહી કરવાની રહેશે. આ રીતે, સ્વ-પ્રમાણિત લગ્નના ફોટોગ્રાફને એક દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે અને તેના આધારે, જીવનસાથીનું નામ પાસપોર્ટમાં ઉમેરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે આપ્યો Annexure J નો વિકલ્પ
આ માટે, વિદેશ મંત્રાલય દ્વારા Annexure J નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં તમારે તમારા લગ્નનો ફોટો અથવા તમારા બંનેનો કોઈપણ અન્ય સંયુક્ત ફોટો અપલોડ કરી શકો છો. આને પ્રમાણપત્ર તરીકે ગણવામાં આવશે. સામાન્ય રીતે, મેરેજ રજીસ્ટ્રેશન એક જટિલ પ્રક્રિયા છે અને લોકો તેનાથી બચવા માટે તેને વર્ષો સુધી પેન્ડિંગ રાખે છે. પછી જ્યારે પણ નોકરીમાં ટ્રાન્સફરની જરૂર પડે છે કે પાસપોર્ટ વગેરેની જરૂર પડે છે, ત્યારે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે વિદેશ મંત્રાલયે પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.
વિદેશ મંત્રાલયે વિકલ્પ તરીકે જોઈન્ટ ફોટો ડિક્લેરેશનની સુવિધા પૂરી પાડી છે. આ અંતર્ગત પાસપોર્ટ માટે અરજી કરનારાઓએ પોતાના નામ જાહેર કરવા પડશે. આ પછી તમારે તમારા જીવનસાથીનું નામ દાખલ કરવું પડશે. પછી Annexure J પર જોઈન્ટ ફોટો અપલોડ કરીને બંનેની સહી કરવાની રહેશે.
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહી પડે
આ ઉપરાંત, અરજદારે જણાવવાનું રહેશે કે પાસપોર્ટ તેના જીવનસાથીનું નામ દાખલ કર્યા પછી જ જારી કરવો. Annexure J માં આપેલા વિકલ્પ હેઠળ, બંનેની સહી અને ફોટોગ્રાફ ઉપરાંત તમારું નામ, આધાર કાર્ડ નંબર, મતદાર ID નંબર અને પાસપોર્ટ નંબર વગેરેનો પણ ઉલ્લેખ કરવો પડશે. આ મામલે સરકારનું કહેવું છે કે જો બંનેના ડોક્યુમેન્ટ સાચા છે અને ફોટો હોય તો સ્વ-પ્રમાણિત કરાવવામાં કોઈ સમસ્યા નથી. આનાથી લોકો ગૂંચવણોથી પણ બચી શકશે.