કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.
Central Government declares that a census of the population of India shall be taken during the year 2027, gazette notification issued. pic.twitter.com/FUipgkLdYz
— ANI (@ANI) June 16, 2025
2019 માં જારી કરાયેલા જૂના આદેશને રદ કરીને આ નવી સૂચના લાગુ કરવામાં આવી છે. સરકારની આ પહેલ દેશની વસ્તી, સામાજિક-આર્થિક સ્થિતિ અને યોજનાઓ માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે, જે નીતિ નિર્માણમાં મદદ કરશે. સૂચના જારી થતાં, વસ્તી ગણતરી પણ ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. વર્ષ 1872 માં વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આ 16મી વસ્તી ગણતરી છે, જ્યારે આઝાદી પછીની આ 8મી વસ્તી ગણતરી છે.
2027 માં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે
2011 માં થયેલી વસ્તી ગણતરીની જેમ ૨૦૨૭માં થનારી વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કાને ઘરની યાદી અથવા ઘરની ગણતરી કહેવામાં આવે છે. આમાં, દરેક પરિવારના ઘરની સ્થિતિ, તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અને મિલકત સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ પછી, બીજો તબક્કો વસ્તી ગણતરી હશે, જેમાં દરેક ઘરમાં રહેતા વ્યક્તિની વસ્તી વિષયક (જેમ કે ઉંમર, લિંગ), સામાજિક-આર્થિક (જેમ કે શિક્ષણ, રોજગાર), સાંસ્કૃતિક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવશે.
આ બે તબક્કાની પ્રક્રિયા સરકારને દેશની વસ્તી અને જીવનધોરણનું સંપૂર્ણ ચિત્ર આપશે, જેનાથી યોજનાઓ બનાવવા અને નીતિઓ તૈયાર કરવામાં સરળતા રહેશે.
પ્રથમ તબક્કો: મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO)નો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.
બીજો તબક્કો (વસતી ગણતરી – PE): આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.
ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે. વસતી ગણતરી બાદ સીમાંકન પંચની રચના કરવામાં આવશે. જેથી વસતી અનુસાર લોકસભા બેઠકોનું વિતરણ કરી શકાય.