ભારતના એથલીટ અને પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને એક મોટું સન્માન મળ્યું છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના ઓનરરી રેન્ક એનાયત કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીરજ ચોપરાને આ પદથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. નીરજ પહેલાથી જ ભારતીય સેનામાં સુબેદાર મેજરના પદ પર તૈનાત છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા બુધવાર 14 મેના રોજ એક સૂચના દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 9 મેના રોજ આ નોટિફિકેશનમાં આ જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના આ નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ પ્રાદેશિક સૈન્ય નિયમો હેઠળ પોતાની સત્તાઓ ઉપયોગ કરીને નીરજ ચોપરાને માનદ લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. નીરજનો આ રેન્ક 16 એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે.
સેનામાં રહીને ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા
ભારતીય સેનાના રાજપૂતાના રાઇફલ્સમાં પહેલા સુબેદાર અને પછી સુબેદાર મેજર રહેલા નીરજએ સમગ્ર વિશ્વમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ અને સેનાનું નામ રોશન કર્યું છે. નીરજે 2016 માં સેનામાં હતા ત્યારે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તે જ વર્ષે તેઓ સેનાનો ભાગ બન્યા અને પછી તેમને સુબેદારનો હોદ્દો આપવામાં આવ્યો. ત્યાર બાદ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતીને તે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યા. ત્યાર બાદ તેમને પ્રમોશન મળ્યું અને તેઓ સુબેદાર મેજર બન્યા. આ સમયગાળા દરમિયાન તેમને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પછી ડાયમંડ લીગનો ખિતાબ પણ જીત્યો. ગયા વર્ષે જ નીરજે પેરિસ ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
આ દિગ્ગજોનું થઈ ચૂક્યું છે સન્માન
આવુ પહેલી વાર નથી જ્યારે રાષ્ટ્રપતિએ કોઈ રમતવીરને ટેરિટોરિયલ આર્મીમાં આ પદથી સન્માનિત કર્યા હોય. ઘણા વર્ષો પહેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવ જેમણે ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીત અપાવી હતી તેમને લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2011 મા ધોની અને અભિનવ બિન્દ્રાને પણ આ સન્માન મળ્યું હતું. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે વર્લ્ડ કપ જીત્યો, જ્યારે બિન્દ્રા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. જ્યારે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને ભારતીય વાયુસેના દ્વારા માનદ ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.