નર્મદા જિલ્લાના રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી પક્ષના વફાદાર કાર્યકર્તા રહેલા નિલભાઈની નિમણૂકથી સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે ગામને ભાજપના ઝંડાઓથી સજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્થાનિક સ્તરે પક્ષને મજબૂત કરવાનો અને આગામી ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવાનો હતો. તિલકવાડા, ગરુડેશ્વર, સાગબારા, ડેડીયાપાડા અને નાંદોદમાંથી હજારો કાર્યકર્તાઓએ રેલીમાં ભાગ લઈને શક્તિ પ્રદર્શન કર્યું અને નિલભાઈના નેતૃત્વ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું, “નિલભાઈના નેતૃત્વમાં નર્મદા ભાજપ સફળતાના શિખરો હાંસલ કરશે, એવો મને વિશ્વાસ છે.”
સમારોહમાં મનસુખભાઈ વસાવા ઉપરાંત સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ, સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.