ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશિયાટીક સિંહની વસ્તીમાં વધારો થયો છે. આ સાથે રાજ્યમાં સિંહોના વસવાટ માટેનો વિસ્તારમાં પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તી વધીને 891 સુધી પહોંચી ગઈ છે.
ગુજરાતમાં સિંહોની વસ્તી અને વિસ્તાર વધ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહ વસ્તી ગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં પાંચ વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. સિંહ વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈને સિંહની સંખ્યા 891 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ સિંહના વસવાટના વિસ્તારોમાં પણ નોંધ પાત્ર વધારો થયો છે. ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સરકારે આપેલી માહિતી પ્રમાણે સિંહનો વસવાટ હવે ગીર અભ્યારણ્ય પુરતો સીમીત રહ્યો નથી. સિંહનો વિસ્તાર અભ્યારણ્યના સીમાડા વટાવીને ફેલાતો જાય છે. સિંહો હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળીને નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.
આરંભમાં 1936માં માત્ર 287 સિંહો હતાં, જ્યારે 2025માં આ સંખ્યા 891 સુધી પહોંચી છે – જે ખરેખર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે.
2025ની 16મી સિંહ વસ્તી ગણતરીમાં આવરી લેવાયેલા જિલ્લાઓ:
તાજેતરમાં 10 થી 13 મે, 2025 દરમ્યાન થયેલી 16મી સિંહ વસ્તી ગણતરીમાં નીચેના 11 જિલ્લાઓ સામેલ હતા:
-
અમરેલી
-
જૂનાગઢ
-
ગીર સોમનાથ
-
ભાવનગર
-
રાજકોટ
-
મોરબી
-
સુરેન્દ્રનગર
-
દેવભૂમિ દ્વારકા
-
જામનગર
-
પોરબંદર
-
બોટાદ
આજથી થોડા વર્ષો પહેલાં માત્ર અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ સુધી સિંહો મર્યાદિત હતા, જ્યારે હવે તેઓ 11 જિલ્લામાં ફેલાઈ ચૂક્યા છે, જે બતાવે છે કે તેમની વસવાટ માટે નવી જગ્યાઓ પણ યોગ્ય અને સુરક્ષિત બની રહી છે.
દરપાંચ વર્ષે થાય છે સિંહ વસ્તી ગણતરી
ગુજરાતના ગીર જંગલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનું આયોજન વર્ષ 2025માં થઈ છે. સરકાર દ્વારા દર પાંચ વર્ષે એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.