દાણી ફાઉન્ડેશન મુંબઈ તરફથી સંસ્થાને ૭૦ લાખનું દાન
સતત ૫૦ વર્ષથી ચરોતરની જનતાના આરોગ્ય માટે કાર્યરત ત્રિભુવનદાસ ફાઉન્ડેશન સંચાલિત કપડવંજ સ્થિત ત્રિભુવનદાસ હોસ્પિટલને દાણી ફાઉન્ડેશન મુંબઈ તરફથી મળેલ ઉદાર આર્થિક સહયોગનો ૠણ સ્વીકાર કાર્યક્રમ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, દાણી ફાઉન્ડેશનના સ્થાપક જલજ દાણી, ઉત્કર્ષ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, ઈરમાના પૂર્વ ડિરેક્ટર હિતેશ ભટ્ટ તથા સંસ્થાના સીઈઓ સંકેત શેઠની ઉપસ્થિતમાં યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગામડાઓના છેવાડાના વિસ્તારમાં જ્યાં સરકાર નથી પહોંચી શકતી ત્યાં દાણી ફાઉન્ડેશન, જલજ દાણી જેવા દાતાઓ પહોંચી પ્રજાની સુવિધાઓ પૂરી કરે છે. સરકારની કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપે છે અને પ્રજાની સાથે સરકારને પણ મદદરૂપ બને છે.આવી સંસ્થાઓ સરકાર માટે આશીર્વાદ સમાન છે. તેઓએ કોડીનું દાન કરી સોશિયલ મીડિયા અને અખબારોમાં ફોટા છપાવી પોતાની જાતને ભામાશા કહેવડાવતા ઢોંગીઓને આડે હાથ લઈ કોઈપણ જાતની પ્રસિદ્ધિ વગર લાખો કરોડોનું દાન કરતા દાણી ફાઉન્ડેશન, જલજ દાણી અને તેમના પરિવારની પ્રશંસા કરી હતી.
વધુમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને કેન્દ્રીય સહકાર અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ત્રિભુવન સહકાર યુનિવર્સિટી બનવા જઈ રહી છે. જેના થકી સમાજમાં સહકારીતાનો ભાવ વધશે અને સહકારનો પાયો વધુ મજબૂત બનશે તેમ જણાવી ત્રિભુવનકાકાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે જલજ દાણીએ તેમના સંબોધનમાં સહાનુભૂતિ અને વિશ્વાસ સાથે વાત કરી. “આ ફાઉન્ડેશન આપણને યાદ અપાવે છે કે વાસ્તવિક વિકાસ આપણી માતાઓના સ્વાસ્થ્ય, આપણા બાળકોની સલામતી અને આપણે સૌથી વધુ સંવેદનશીલ લોકોની સેવા કરીએ છીએ તે કરુણા દ્વારા માપવામાં આવે છે.” તેઓએ સેવાકીય કાર્યો માટે ખૂટતી જરૂરીયાતને પૂરી કરવા દાણી ફાઉન્ડેશન હર હંમેશ તૈયાર હોવાનું જણાવી સંસ્થાની સેવાઓનો વધુ પ્રચાર પ્રસાર થાય અને વધુમાં વધુ લોકો તેનું લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો.
ડો. હરીશ કુંડલિયાએ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન અને દાણી ફાઉન્ડેશન વચ્ચે વધતી જતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો, જે સંભાળ, ગૌરવ અને પાયાના પરિવર્તનના સહિયારા મૂલ્યો પર બનેલ છે. તેમ જણાવ્યું હતું.
ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના આ કેન્દ્રમાં કપડવંજ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને દાણી ફાઉન્ડેશનના સ્થાપક જલજ દાણીએ ગ્રામીણ આરોગ્ય સંભાળમાં ફાઉન્ડેશનના ચાલુ પ્રયાસોને મજબૂત બનાવવા માટે ૭૦ લાખનું પરોપકારી દાન આપ્યું હતું. તેમનું યોગદાન સંસ્થાના સમુદાય-મૂળિયા કાર્યને મજબૂત બનાવવા અને ગુજરાતના ગામડાઓમાં ઊંડા પ્રભાવ માટે નવી શક્યતાઓ ખોલવા માટે તૈયાર છે.
આ પ્રસંગે સંસ્થાના સીઈઓ સંકેત શેઠે સંસ્થામાં ચાલતી સેવાઓની માહિતી આપી હતી.
“જો આપણે ભેંસ હોત, તો આપણને વધુ સારી પ્રસૂતિ સંભાળ મળી હોત.” દાયકાઓ પહેલા બોલાયેલી એક ગામડાની મહિલાની આ ટિપ્પણીએ શ્રી ત્રિભુવનદાસ પટેલને ખૂબ જ પ્રભાવિત કર્યા – પ્રેરણા આપી જે ગુજરાતના સૌથી પ્રભાવશાળી ગ્રામીણ આરોગ્ય ચળવળોમાંની એક બની.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ત્રિભુવન કાકાની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના અંતમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે મહાનુભાવોની હાજરીમાં તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જગજીતસિંહ ચૌહાણે અને આભારવિધિ ડો. બિનિતાએ કરી હતી.