કેન્દ્ર સરકારે ખેડૂતોને ભેટ આપતાં મહત્ત્વના ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં ખરીફ પાકના ટેકાના ભાવોમાં વૃદ્ધિની સાથે લોનના વ્યાજદરમાં સબસિડીની રાહતો આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં પાંચ મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ મહત્ત્વના નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોની મંત્રી મંડળની સમિતિએ માર્કેટિંગ વર્ષ 2025-26 માટે KCC (કિસાન ક્રેડિટ કાર્ડ) લોન સસ્તા દરે ઉપલબ્ધ કરાવવા સબસિડી ચાલુ રાખવા મંજૂરી આપી છે. જેમાં ખેડૂતોને વ્યાજદર પર 3 ટકા સબસિડી મળશે. તેમજ સમયસર લોનની ચૂકવણી પર પ્રોત્સાહન રૂપે વધારાની સબસિડી પણ આપવાનો નિર્ણય લીધો છે. આ સિવાય 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેથી ખેડૂતોને તેમના પાકના લાભકારી મૂલ્યો મળી શકે. ગતવર્ષની તુલનાએ ટેકાના ભાવમાં સૌથી વધુ વૃદ્ધિ નાઈઝરસીડ (રૂ. 820 પ્રતિ ક્વિન્ટલ)માં થઈ છે. રાગી (રૂ. 596 પ્રતિ ક્વિન્ટલ), કપાસ (રૂ. 589 પ્રતિ ક્વિન્ટલ) અને તલ (રૂ. 579 પ્રતિ ક્વિન્ટલ) નિર્ધારિત કરવામાં આવ્યા છે.
MISS જારી રાખવા મંજૂરી
મંત્રીએ જણાવ્યુ કે, નાણાકીય વર્ષ 2025-26 માટે સંશોધિત વ્યાજ અનુદાન યોજના (Modified Interest Subvention Scheme) અંતર્ગત વ્યાજ અનુદાન ઘટક જારી રાખવા મંજૂરી આપવામાં આવી છે. તથા આવશ્યક ક્રેડિટ વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે. Modified Interest Subvention Scheme એ કેન્દ્રીય સ્તરની યોજના છે. જેનો ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતોને વાજબી દરે ઈમરજન્સી લોનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવાનો છે.
આ યોજના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી 7 ટકાના વ્યાજદરે રૂ. 3 લાખ સુધીની ઈમરજન્સી લોન પ્રાપ્ત થઈ છે. જેમાં લોન આપનારી સંસ્થાઓ વ્યાજ પર 1.5 ટકા સબસિડી આપે છે. તેમજ લોનની સમયસર ચૂકવણી કરનારા ખેડૂતો પીઆરઆઈ હેઠળ 3 ટકા પ્રોત્સાહન પણ મેળવી શકે છે. જેથી કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) લોનના વ્યાજદર ઘટી 4 ટકા થશે. દેશમાં 7.75 કરોડથી વધુ કેસીસી ખાતા છે. આ સહાયતા જારી રાખવા કૃષિ માટે સંસ્થાગત લોનનો પ્રવાહ જાળવી રાખવા મહત્ત્વપૂર્ણ છે. જે ઉત્પાદક્તામાં વધારો તેમજ નાના અને સીમાંત ખેડૂતો માટે નાણાકીય સમાવેશન સુનિશ્ચિત કરે છે.
ખરીફ પાકના ટેકાના ભાવમાં વૃદ્ધિ
માર્કેટિંગ વર્ષ 2025-26 માટે ખરીફ પાક માટે ટેકાના ભાવમાં વૃદ્ધિ કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાતને અનુરૂપ છે. જેમાં એમએસપીની ગણતરી ઓલ ઈન્ડિયા વેઈટેડ એવરેજ પ્રોડક્શન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન બાજરી (63 ટકા)માં સૌથી વધુ રહેવાનો અંદાજ છે. મકાઈ (59 ટકા), તુવેર (59 ટકા), અને અડદ (53 ટકા) માર્જિન મળશે. અન્ય પાકમાં ખેડૂતોના માર્જિન 50 ટકા રહેવાનો અંદાજ છે.