સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટની 2022ની ગાઇડલાઇન્સને દેશવ્યાપી દિશાનિર્દેશ તરીકે માન્યતા આપી છે, જે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ નોંધાતા ઘરેલુ હિંસાના કેસોમાં તાત્કાલિક ધરપકડને રોકે છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું કે આ દિશાનિર્દેશ હવે સમગ્ર દેશમાં લાગુ થશે અને તમામ અધિકારીઓ અને એજન્સીઓ તેનો કડક અમલ કરશે.
અલ્હાબાદ હાઇકોર્ટે 13 જૂન, 2022ના ચુકાદામાં કહેલું કે IPC 498A હેઠળ નોંધાતા દરેક કેસ પહેલાં જિલ્લા સ્તરની “પરિવાર કલ્યાણ સમિતિ”ને મોકલવામાં આવવો જોઈએ, જેથી મામલાનું મધ્યસ્થી દ્વારા સમાધાન શક્ય બને. આ દરમિયાન પોલીસ કડક પગલાં, ખાસ કરીને ધરપકડ, નહીં લે – અને ઓછામાં ઓછા બે મહિના સુધી કોઈ ધરપકડ નહીં થાય. આ સમિતિ બંને પક્ષોને સાંભળીને પોતાની રિપોર્ટ પોલીસ અથવા કોર્ટને સોંપશે. જો આ સમયગાળામાં દંપતી વચ્ચે સમાધાન થઈ જાય, તો કોર્ટ તેમના કેસને સમાપ્ત પણ કરી શકે છે.
#Breaking #SupremeCourt has endorsed the guidelines issued by Allahabad High Court on ‘Constitution of Family Welfare Committees for safeguards regarding misuse of Section 498A IPC'
These guidelines provide that:
✅No arrest or police action to nab the named accused persons… https://t.co/ooZetjzuTF pic.twitter.com/ccVU3Aq2Vo
— CiteCase 🇮🇳 (@CiteCase) July 22, 2025
આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ IPC 498A કલમના દુરુપયોગને અટકાવવાનો છે, જે દરમિયાન કેટલાક કિસ્સાઓમાં પતિ અને તેમના પરિવારજનોને ખોટા આરોપોમાં ફસાવવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2017માં આવો જ એક દિશાનિર્દેશ આપ્યો હતો, પણ 2018માં એ પરત ખેંચી લેવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે ત્યારબાદ 2017ના દિશાનિર્દેશના આધારે પોતાની ગાઇડલાઇન્સ તૈયાર કરી હતી, જેને હવે સુપ્રીમ કોર્ટે ફરીથી માન્યતા આપી છે.
આ ચુકાદાની પૃષ્ઠભૂમિ એક એવા કેસથી છે જેમાં પત્નીએ પતિ અને તેના પિતાની વિરુદ્ધ IPC 498A હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે પતિએ 109 દિવસ અને તેના પિતાએ 103 દિવસ જેલમાં વિતાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોએ છૂટાછેડા અને કેસ રદ કરવા માટે સહમતિ દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પત્નીને પતિ અને સસરાની જાહેરમાં, અખબાર તથા સોશિયલ મીડિયા પર બિનશરતી માફી માગવા માટે પણ આદેશ આપ્યો, જેથી ખોટા આરોપોના અસરોનો ઈતિહાસ દર્શાવવામાં આવે.
આ દિશાનિર્દેશો સાથે સમગ્ર દેશમાં IPC 498A સંબંધિત કેસોમાં વધુ ન્યાયસંગત અને સંતુલિત અભિગમ અપનાવવાનો માર્ગ ખુલ્યો છે, જેમાં બંને પક્ષોની સલામતી અને અધિકારોએ ધ્યાનમાં લેવામાં આવશે, અને કલમના દુરુપયોગ પર અંકુશ લાવવામાં મદદરૂપ બનશે.