સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર 6 અઠવાડિયાની અંદર આપવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું કે નોટિસ મળવાના 24 કલાકની અંદર મકાન પાડવાનું ખોટું હતું અને તેને ગેરકાયદેસર માન્યું છે.
કોર્ટે કહ્યું કે આ વળતર એટલા માટે પણ જરૂરી છે કે જેથી ભવિષ્યમાં સરકાર યોગ્ય પ્રક્રિયા વિના લોકોના મકાન પાડવાનું ટાળે. જજોએ તાજેતરમાં જ સામે આવેલા એક વીડિયોનો પણ હવાલો આપ્યો, જેમાં ધ્વસ્ત થતી ઝૂંપડીથી એક બાળકી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી.
આંબેડકર નગરનો વીડિયો થયો હતો વાઈરલ
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરનો એક વીડિયો 23 માર્ચે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો હતો. આ વાઈરલ વીડિયોમાં એક બાળકી બુલડોઝરની કાર્યવાહી દરમિયાન પોતાની ઝૂંપડી તરફ દોડતી નજર આવી રહી છે. બાળકી ઝૂંપડીની પાસે પહોંચીને પોતાની પુસ્તકો લઈને જલ્દીથી બહાર આવે છે.
સુપ્રીમ કોર્ટે પહેલા પણ આપ્યો હતો આ પ્રકારનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે આ પહેલા 7 માર્ચે ઉત્તર પ્રદેશ સરકારને બુલડોઝર કાર્યવાહીને લઈને આકરી ફટકાર લગાવી હતી. પીડિતોનું કહેવું હતું કે રાજ્ય સરકારે ભૂલથી તેની જમીનને ગેંગસ્ટર અતીક અહેમદની સંપત્તિ માની લીધી. તેના કારણે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ અન્ય લોકોના ઘર પાડી દીધાં.
સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કહ્યું હતું કે ‘જે ઘરોને ભૂલથી પાડ્યા છે, તેમને રાજ્ય સરકાર પોતાના ખર્ચ પર ફરીથી બનાવશે. જો તમે (એટર્ની જનરલ) આને પડકાર આપવા ઈચ્છો છો, તો એક સોગંદનામું દાખલ કરીને કાયદેસર લડત લડી શકો છો.’