ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવા મામલે માફી માંગી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા બાદ એર ઇન્ડિયાના પ્લેનમાં મેન્ટેનન્સના આભાવના સવાલ ઊભા થયા છે. જોકે હવે ચેરમેન ચંદ્રશેખરને પોતાના પક્ષથી સાથી લોકોને ખાસ અપીલ કરી છે.
અમે પીડિત પરિવારોનો સહારો બનીશું : ચંદ્રશેખરન
ટાટા સન્સના ચેરમેને કહ્યું કે, ‘આ ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે. મારી પાસે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારને સાંત્વના આપવાના કોઈ શબ્દો નથી. આ દુર્ઘટના ટાટા દ્વારા સંચાલિત એરલાઇન્સમાં થઈ છે, જેને લઈને હું ખૂબ જ દુઃખી છું. અમે માત્ર પરિવારોને સહારો આપી શકીએ છીએ, તેમની સાથે શોકમાં સામેલ થઈ શકીએ છીએ. અમે સંકટના સમયમાં તેમને તમામ મદદ કરીશું. આ દુર્ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી નાખ્યા છે.’
‘બંને ઉત્તમ પાઇલોટ હતા’
ચંદ્રશેખરને ફ્લાઇટના પાયલોટ અંગે કહ્યું કે, ‘બંને પાઇલટની કામગીરી ખૂબ સારી હતી. કૅપ્ટન સભરવાલને 11,500 કલાકથી વધુ અને ક્લાઈવ કુંદરને 3400 કલાકથી વધુ સમય સુધી ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ હતો. મારા સહયોગીઓ પાસેથી મેં જે સાંભળ્યું છે, તે મુજબ બંને શ્રેષ્ઠ પાયલોટ અને વ્યવસાયિક હતા, તેથી અમે દુર્ઘટનાને લઈ કોઈ નિષ્કર્ષ સુધી ન પહોંચી શકીએ.’
ચંદ્રશેખરને લોકોને અપીલ કરી
ટેક ઑફ કરતી વખતે ક્યાં ભૂલ થઈ ? તેવો પ્રશ્ન કરાતાં ચંદ્રશેખરને કહ્યું કે, ‘મને તમામ નિષ્ણાતોએ કહ્યું કે, બ્લેક બૉક્સ અને રૅકોર્ડરથી દુર્ઘટના અંગેનો ખુલાસો થશે. તેમણે લોકોને અપીલ કરી છે કે, આપણે ઝડપી પરિણામ પર જંપ ન કરવો જોઈએ, આપણે પરિણામની રાહ જોવી જોઈએ. બ્લેક બૉક્સ ફ્લાઇટની તમામ ગતિવિધિઓ રૅકોર્ડ કરે છે, તેથી તેનાથી દુર્ઘટનાના કારણો શોધવામાં મદદ થશે.’
ચંદ્રશેખરન એર ઇન્ડિયાની કેન્સલ ફ્લાઇટો વિશે શું બોલ્યા?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પ્લેન ક્રેશની ઘટના બાદ અનેક ફ્લાઇટો વિલંબથી ચાલી રહી છે, તો કેટલીક કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધી ગઈ છે. આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘અમને શ્રેષ્ઠ સંચારની જરૂર છે. અમે છેલ્લા ત્રણ દિવસમાં એક વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર ટીમ બનાવી છે. તેમણે બોઇંગ અને જીઈના ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકની પુષ્ટિ કરતાં કહ્યું કે, મેં બોઇંગ અને જીઈ બંનેનો સંપર્ક કર્યો છે. મેં તેમને કહ્યું છે કે તેઓ તપાસ કરે અને અમને જણાવે કે કોઈ વિમાન કે એન્જિનમાં કોઈ સમસ્યા છે કે નહીં.