એક લૉક વાયકા પ્રમાણે સિંધના હમીર સુમરાની ભેંસો સિદ્ધરાજ જયસિંહ લાવ્યા હતા તે ભેંસોને પાછી લઈ જવા માટે સિંધમાંથી સધી માતાજી આવ્યા હતા અને ભેંસો હમીર સુમરાને પરત કર્યા પછી સિદ્ધરાજ જયસિંહના સ્વપ્નમાં આવી પોતે પાટણમાં આવીને રહેવા કહી, સિંધથી પાટણ આવ્યા હતા. આ સિંધવાઇ માતાજીના મંદિરના નીચેના ભાગમાં સુવાવડી માતા બિરાજમાન છે. જ્યાં ગર્ભવતી સ્ત્રીઓ દર્શન કરવા આવી પોતાના સારા સ્વાસ્થ્ય માટે માતાજીને પ્રાર્થના કરે છે.
સિંધવાઈ માતાજીનું મંદિર અને સુવાવડી માતાજીનું મંદિર વાવમાં સ્થાપિત છે. ઉપરના ભાગે સિંધવાઈ માતાનું મંદિર છે અને નીચેના ભાગે સુવાવડીમાતાનું મંદિર છે, સુવાવડી માતાજીના મંદિરે અનેક શ્રદ્ધાળૂઓ પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે. સુવાવડી માતાના મંદિરે મહિલાઓની આસ્થા વધુ જોડાયેલી છે. મહિલાઓ ગર્ભાવસ્થા સમયે સુવાવડી માતાના મંદિરે માનતા રાખે છે કે તેમને પ્રસુતી સમયે કોઈ પીડા કે તકલીફ ના થાય. પ્રસૂતિ બાદ જો કોઈ મહિલાને પોતાના બાળકને પીવડાવવાનું દૂધ સુકાઈ જવાની સમસ્યા થાય ત્યારે સુવાવડી માતાની માનતા માને છે અને જયારે માનતા પૂર્ણ થાય છે સુવાવડી માતાના મંદિરે આવી શીરાની પ્રસાદી ચડાવી માતાજીનો આભાર વ્યક્ત કરે છે.
એક લૉકવાયકા પ્રમાણે રાજ માતા મીનળદેવી 18 મહિના ગર્ભાઅવસ્થામાં રહ્યા બાદ રાજા સિદ્ધરાજ જયસિંહને જન્મ આપ્યો હતો. મીનળદેવીના દેહાંત પછી તેમની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે સુવાવડીમાતા એ મીનળદેવી માતા કહેવાય છે. સુવાવડી માતા ના મંદિરે દૂરદૂરથી શ્રદ્ધાળૂઓ પોતાની માનતા પૂર્ણ કરવા અહીંયા આવે છે માતાજીને પ્રસાદમાં શીરો ધરાવે છે. માનતા પૂર્ણ કરવા આવેલી મહિલાઓ જે શીરો લાવે છે તે શીરો મંદિર બહાર લઈ જવામાં આવતો નથી અને તે મંદિરની અંદર જ પરિસરમાં આવેલા શ્રદ્ધાળૂઓને વહેંચી દેવામાં આવે છે. તેમજ જો વધે તો પશુપક્ષીઓને ધરી દેવામાં આવે છે.
સુવાવડી માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓની માતાજી પ્રત્યે અતૂટ આસ્થા બંધાયેલી છે દૂરદૂરની મહિલાઓ અહીંયા માનતા માને છે. અહીંયા ગાય ભેંસની પણ માનતા રાખવા આવે છે. જો કોઈ ગાય ભેંસ દોહવા દેતી ના હોય અથવા તો તેમનું દૂધ સુકાઈ ગયું હોય તો પશુપાલક સુવાવડી માતાની માનતા માને છે.