કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર એક નવી ટોલ ટેક્સ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે “અમે એક એવી નીતિ લાવી રહ્યા છીએ જે સામાન્ય માણસને રાહત આપશે. અમે ટોલ પ્રક્રિયામાં ફેરફાર કરી રહ્યા છીએ… હું આનાથી વધુ કંઈ જણાવી શકતો નથી પરંતુ મને વિશ્વાસ છે કે આગામી 8-10 દિવસમાં તેની જાહેરાત કરવામાં આવશે” એટલે કે આવનાર દિવસોમાં ટોલ ટેક્સને લગતી નવી નીતિ લાગુ પડશે જે સામાન્ય માણસના ખિસ્સાને રાહત આપશે.
🚨 Government of India to come up with a new toll system soon, rates to come down: Nitin Gadkari. pic.twitter.com/FquxoXsGNW
— Indian Tech & Infra (@IndianTechGuide) April 8, 2025
8-10 દિવસમાં થશે જાહેરાત
કેન્દ્રીય મંત્રી ગડકરીએ એક સમિટમાં ટોલ ટેક્સ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે અમે દેશભરમાં સામાન્ય લોકોને ચૂકવવા પડતાં ટોલ અંગે રિસર્ચ કર્યું છે અને એના પરથી આ નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છીએ. આના વિશે વધારે વાત ના કરતાં તેમણે કહ્યું હતું કે અમે (સરકાર) 8-10 દિવસમાં અંતિમ જાહેરાત કરીશું.
લોકોને થશે રાહત
નીતિન ગડકરીએ નવી ટોલ સિસ્ટમ વિશે જણાવ્યું કે નવી નીતિથી ટોલ ઘટશે. તેમાં કેટલો ઘટાડો થશે તે અત્યારે કહી શકતા નથી. પણ જે લોકો હાલ ટોલ ભરે છે તેમાં ઘટાડો થશે. લોકો ખુશ થશે અને તેમને કોઈ ફરિયાદ નહીં હોય.
રાજ્યસભામાં કર્યો હતો ઉલ્લેખ
ગડકરીએ એવી પણ ખાતરી આપી હતી કે નવી સિસ્ટમ લાગુ થયા પછી ટોલના દરમાં ઘટાડો થશે. કેન્દ્રીય મંત્રીએ ગયા મહિને રાજ્યસભામાં નવી ટોલ નીતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના વધતા જતા માર્ગ માળખા માટે ટોલ ચાર્જ જરૂરી છે પરંતુ સરકાર આ સિસ્ટમને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 2008ના નિયમો અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગના એક જ પટ પર અને એક જ દિશામાં 60 કિલોમીટરની અંદર ટોલ પ્લાઝા બનાવી શકાતા નથી.
આ ઉપરાંત ગડકરીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ હાઇબ્રિડ વાહનો પરનો GST ઘટાડવા માંગે છે અને દેશને 36 કરોડથી વધુ પેટ્રોલ અને ડીઝલ વાહનોથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5 ટકા અને ફ્લેક્સ એન્જિન પર 12 ટકા કરવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે જે તેના પર વિચાર કરી રહ્યું છે.