શિબિરમાં પૌષ્ટિક આહાર આરોગવા સહિત યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગ અને આહાર-વિહારની ભૂમિકા મહત્વની છે, બાળપણમાં વધતી જતી મેદસ્વિતા ટાઈપ 2 ડાયાબિટીસ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અને હોર્મોનલ અસંતુલન જેવી બિમારીઓને આમંત્રણ આપી શકે છે. આ તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે મેદસ્વિતા મુક્ત અભિયાનની પહેલ કરી છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર 2025 નું આયોજન કરાયું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રી વસંતકુમાર વસાવા બાળકોને યોગ, આહાર-વિહાર સહિત તંદુરસ્ત જીવનશૈલી માટે માર્ગદર્શન પુરુ પાડી રહ્યાં છે.
નાંદોદ તાલુકામાં નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો હતો. જેમાં બાળકોને યોગાસન, યોગનું મહત્વ, ફાયદા, યોગથી થતા સકારાત્મક ઉર્જાનો સંચાર તેમજ પૌષ્ટિક આહાર આરોગવા વિશે શિબિરમાં માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, યોગથી કેલરી બળે છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.
આ શિબિરનું સંચાલન નાંદોદ તાલુકા યોગ કોચશ્રી શૈલેષભાઈ વસાવા, યોગ શિક્ષકશ્રી કનુભાઈ વસાવા તેમજ યોગ શિક્ષકશ્રી પિયાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.