નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા
ઉપસ્થિત ૧૨ હજાર બહેનોએ વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ પણ નિહાળ્યું
મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોગીફાર્મ નડિયાદ ખાતે પર્યાવરણ જતન-સંવર્ધનના સંદેશ સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કૃષ્ણભક્તિના ગીત ભજનોની ધારદાર પ્રસ્તુતિ પર બહેનો મન મૂકીને ઝૂમી હતી. રાજ્યમંત્રીએ બહેનોને પાસે રાખી બંધાવી તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.
કાર્યક્રમમાં હાજર રહેલી અંદાજે ૧૨ હજાર જેટલી બહેનોએ પ્રત્યેકે ૫ છોડના ઉછેરનો સંકલ્પ લઈ કુલ ૬૦ હજાર છોડ વાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ છોડ પોતાના ઘર આંગણે તેમજ પડતર જગ્યાએ વાવી, ઉછેર કરી તેની જાળવણીના જરૂરી પગલાં ભરી યોગ્ય માવજતની પણ જવાબદારી બહેનોએ ઉપાડી હતી.
આ ભવ્ય આયોજન દરમિયાન ઉપસ્થિત તમામ બહેનોએ અને લોકોએ વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૭ માં એપિસોડનું પ્રસારણ પણ નિહાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા, ક્લિન એનર્જી, નશામુક્ત ભારત, મહિલા સ્વાવલંબન, પર્યાવરણ સંવર્ધન, ઉદ્યોગ સાહસિકતા, નવીન ખેતી અને વોકલ ફોર લોકલ સહિતના વિષયોનું મહત્વ સમજાવી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા સૌને અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ યુવાઓને નશાના દૂષણથી દૂર રહેવા અપીલ કરી તથા આ વિષય પર સમાજને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ રાખી મહાપર્વને તેમણે ભાઈની મહેનત સામે આશીર્વાદનો કાર્યક્રમ જણાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે મહુધા વિધાનસભાની બહેનોએ રાખી બાંધીને સંજયસિંહનો હાથ મજબૂત કર્યો છે અને આ રીતે વિકાસ પર રહેલા ભરોસાને મજબૂત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ રક્ષાસુત્ર એ ફક્ત દોરો નથી પણ સરકાર પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે ૨૦૨૨ થી શરૂ થયેલ આ રાખીની અનોખી સ્નેહ પરંપરાનો વ્યાપ વધ્યો છે. આજે ૧૨ હજારથી વધુની સંખ્યામાં બહેનોએ આ રાખી કાર્યક્રમમાં હાજર રહી ભાઈ-બહેનના આ પાવન પર્વને અનોખું ગૌરવ પ્રદાન કર્યું છે. તેમણે હર્ષ સાથે જણાવ્યું હતું કે મહુધા વિધાનસભાની બહેનોએ તેમના પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે ત્યારે પોતે પણ તેમની સુરક્ષા, સેવા અને મદદ માટે હર હંમેશ ખડે પગે ઉપસ્થિત રહેશે. ખાસ કરીને મહિલા સ્વાવલંબનમાં દરેક ક્ષેત્રે મદદ કરવા આશ્વાસન આપ્યું હતું.
આ તકે રાજ્યમંત્રીએ ઉપસ્થિત તમામ બહેનોને, એક બહેન દ્વારા ૦૫ છોડ પ્રકૃતિ કે નામ વાવવા અનુરોધ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં આપવામાં આવેલ તમામ સંદેશને અપનાવવા અને સ્વચ્છ, સુઘડ, પ્લાસ્ટિક મુક્ત અને વિકસિત મહુધા શહેરનું નિર્માણ કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
વધુમાં, મંત્રીએ તેમને મળેલા શાઈનીંગ ઈન્ડિયા બેસ્ટ એમ.એલ.એ એવોર્ડ ૨૦૨૬ માટે સૌનો આભાર માન્યો હતો અને મહુધા વિધાનસભાના સૌ નાગરિકોને આ એવોર્ડ અર્પણ કર્યો હતો.
આ તકે સાંસદ દેવુસિંહ ચૌહાણે સનાતન સંસ્કૃતિમાં રહેલી માતૃશક્તિને ઉજાગર કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને આત્માનિર્ભર બનાવવાની દિશામાં ૩૮ જેટલી સખી મંડળને રૂપિયા ૧૧.૪૦ લાખની કિંમતના રિવોલ્વીગ ફંડ તેમજ ૨૦ જેટલા મંડળને કેશ ક્રેડિટ લોન આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રવીણસિંહ સોઢા, અગ્રણી રમેશભાઈ દેસાઈ, મરીડા ધામના સિદ્ધુ બાપુ, અગ્રણી દીપક મિસ્ત્રી, રાજેશ પટેલ, સ્મિત પટેલ, રાજુભાઈ જાદવ, પંકજભાઈ ત્રિવેદી, દિનેશભાઈ સોલંકી, નટવરભાઈ સોઢા, દિશાન્તભાઈ શાહ, રૂપેશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વાઘેલા, બળવંતભાઈ વાઘેલા, નિલેશભાઈ પટેલ, બહાદુરભાઈ સોલંકી, રમેશભાઈ સોઢા અને લાલસિંહ સોઢા સહીતના અન્ય મહાનુભાવો, શિવાજી ફાઉન્ડેશનના કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સુરેશ પારેખ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel