અમદાવાદમાં સોમવારે નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર વિસ્તારોમાં ઘરફોડ અને ચોરીના ત્રણ બનાવમાં દિલ્હીના એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ યુવકને ઝડપી તેની પાસેથી સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે 8.31 લાખ રૂપિયા હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદના નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર પોલીસ સ્ટેશનની હદ વચ્ચે ત્રણ ઘરફોડ અને ચોરીના કેસ સામે આવ્યા હતા. જેમાં ધોળા દિવસે ઘરોને નિશાનો બનાવવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ નવરંગપુરા પોલીસ અને ઝોન-1 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સોમવારે (11 ઓગસ્ટ) 28 વર્ષીય રાજ ખત્રી નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. એક ખાનગી બાતમીદાર પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસ મીઠાખળી ગાર્ડન પહોંચી હતી. જ્યાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 7.8 લાખના સોનાના દાગીના, 1.18 લાખ રોકડ અને 5 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
આરોપીએ ત્રણેય ઘરોમાં ઘરફોડ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય તેણે કબૂલ્યું કે, તે રૂમાલથી પોતાનો ચહેરો છુપાવીને ચોરીની ઘટનાને ધોળા દિવસે અંજામ આપતો હતો. આરોપી વિશે તપાસ કરતા સામે આવ્યું કે, વર્ષ 2016થી 2024 દરમિયાન ઓછામાં ઓછા 8 ઘરફોડ અને ચોરીના કેસમાં તેની સંડોવણી હતી. જોકે, આરોપી હજુ કયા ગુનામાં સંડોવાયેલો હતો તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.