અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. રામ મોહન નાયડુએ આ મામલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે 650 ફૂટની ઊંચાઇએ વિમાન ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાઈલટે MAY DAY નો સંદેશ આપ્યો હતો.
પાઈલટે ઈમરજન્સીની સૂચના આપી હતી
પ્રેસ કોન્ફરન્સમાં ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, ‘વિમાને બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને થોડી જ સેકન્ડોમાં 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી તેની ઊંચાઈ ઘટવા લાગી. 1:39 વાગ્યે જ પાઇલટે એટીસીને may day વિશે જાણ કરી. જ્યારે એટીસીએ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. બરાબર એક મિનિટ પછી, તે મેઘાણીનગરમાં ક્રેશ થયું.’
ઉડ્ડયન મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે, ‘અમે 6 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં આગ લગભગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી. અમારૂ ફ્લાઇટ ડેટા રેકોર્ડર, એટલે કે બ્લેક બોક્સ મળી ગયું છે, હાલ ઘટનાની તપાસ શરૂ છે. AAIB ઘટનાની તપાસ કરશે, તપાસ માટે બીજી ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઉડ્ડયન સુરક્ષા અને તેને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તેની સમીક્ષા કરશે.’
ભયાનક વિસ્ફોટ બાદ આગને 6 વાગ્યા સુધીમાં કાબૂમાં લઇ શકાય
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના જણાવ્યું હતું કે, ‘પ્લેન ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે આગ ફેલાઈ ગઇ હતી. આગને કાબૂમાં લેતા લેતા 6 વાગી ગયા હતા. હવે આ મામલે કમિટી તપાસ કરી રહી છે. જે તમામ પુરાવાઓ અને નિવેદનો એકઠાં કરશે અને રિપોર્ટ રજૂ કરે છે.’