ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ ઉમેરાઈ છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્ત્વ સ્થળ દેવનીમોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા લઈ જવાયા છે. શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસના અવસરે આ અવશેષોના આગમન સાથે સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ સર્જાયો છે. આ ઘટનાને ભારત-શ્રીલંકા સંબંધોમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સહયોગના મજબૂત પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે.
રાજ્ય સન્માન સાથે ભવ્ય સ્વાગત
ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા આ પવિત્ર અવશેષોને કોલંબો પહોંચાડવામાં આવ્યા હતા. શ્રીલંકા સરકારે નિર્ધારિત પ્રોટોકોલ મુજબ અવશેષોને સંપૂર્ણ રાજ્ય સન્માન આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઐતિહાસિક યાત્રામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ હાજર રહ્યું હતું, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોને દર્શાવે છે.
રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કર્યું ઉદ્ઘાટન
4 ફેબ્રુઆરી 2026ના રોજ કોલંબોના પ્રસિદ્ધ ગંગારામાયા મંદિર ખાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ પવિત્ર અવશેષોના જાહેર પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ ડૉ. કિરીંડે અસાજી થેરો તેમજ શ્રીલંકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન “પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ” અને “પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી” વિષયક બે વિશેષ એક્ઝિબિશન પણ શરૂ કરવામાં આવ્યા.
પ્રથમ વખત ભારત બહાર જાહેર પ્રદર્શન
દેવનીમોરી ખાતે મળેલા બુદ્ધ અવશેષોના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે તેમને ભારતની બહાર જાહેર દર્શન માટે મૂકવામાં આવ્યા છે. અગાઉ ભારતે 2012માં કપિલવસ્તુ અને 2018માં સારનાથના બુદ્ધ અવશેષો શ્રીલંકા મોકલી ધાર્મિક જોડાણ મજબૂત બનાવ્યું હતું. આ વખતે પણ બંને દેશો વચ્ચેની આધ્યાત્મિક મિત્રતાનો અનોખો દાખલો જોવા મળી રહ્યો છે.
આજથી જનતા માટે દર્શન ખુલ્લા
પરંપરાગત બૌદ્ધ વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે પવિત્ર અવશેષોની સ્થાપના કરવામાં આવી છે. 5 ફેબ્રુઆરીથી આ અવશેષો સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. શ્રીલંકા તેમજ વિશ્વભરમાંથી આવતા બૌદ્ધ અનુયાયીઓ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના દર્શન કરીને આધ્યાત્મિક અનુભૂતિ મેળવી શકશે.
આ કાર્યક્રમ ધાર્મિક મહત્વ ઉપરાંત રાજદ્વારી દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ ધરાવે છે. ભગવાન બુદ્ધના કરુણા, શાંતિ અને અહિંસાના ઉપદેશો ભારત અને શ્રીલંકા વચ્ચેના ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિને વધુ મજબૂત બનાવશે અને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel