દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સૈન્ય અધિકારીના આ વર્તનને સેનાની ધર્મનિરપેક્ષ પરંપરાઓ વિરુદ્ધ ગણાવી અધિકારીને ફરીવાર સેવામાં લેવાનો આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો. લેફ્ટનેન્ટ સેમ્યુઅલ કમલેસનને માર્ચ ૨૦૧૭માં થડે કેવેલરી રેજિમેન્ટમાં નિયુક્ત કરાયો હતો. તેણે આમ કહીને ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો કે તે ખ્રિસ્તી ધર્મનો છે અને તેની રેજિમેન્ટમાં ચર્ચની વ્યવસ્થા નથી. તેમની રેજિમેન્ટમાં માત્ર મંદિર અને ગુરુદ્વારા હતા પરંતુ સર્વધર્મ પ્રાર્થના સ્થળ નહોતું.
કમલેસન બી સ્ક્વોડ્રન (શીખ જવાનોની ટુકડી)ના ટ્રૂપ લીડર હતા. તેમણે દાવો કહ્યો હતો કે તેમના ધાર્મિક વિશ્વાસને રેજિમેન્ટમાં યોગ્ય સ્થાન અપાતું નહોતું. પરંતુ સેનાએ તેમના વ્યવહારને ગેરશિસ્ત માનતા તેમને પેન્શન અને ગ્રેજ્યુઇટી વિના જ સેવામાંથી બરતરફ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શાલિંદર કૌરે ૩૦ મેના રોજ આપેલા ચુકાદામાં કહ્યું હતું કે આપણી સશસ્ત્ર સેનાઓ તમામ ધર્મ, જાતિઓ અને ક્ષેત્રના લોકોની બનેલી છે, જેમનો ઉદ્દેશ્ય દેશની રક્ષાનો છે. તેમને સૈન્ય ગણવેશ એકજૂથ કરે છે. ધર્મ વહેંચતો નથી. કોર્ટે સાથે જ કહ્યું હતું કે કેટલીક રેજિમેન્ટ્સના નામ અથવા યુદ્ધથોષ ધાર્મિક લાગી શકે છે પરંતુ તેનો ઉદ્દેશ્ય સૈનિકોમાં જોશ અને એકતા પેદા કરવાનો હોય છે. સેના બધાની ધાર્મિક આસ્થાનું સન્માન કરે છે.
અધિકારીએ ગેરશિસ્ત આચર્યુ:
બેન્ચે કહ્યું હતું કે કમલેસને એક કાયદેસરના સૈન્ય આદેશને ધર્મના આધારે ફગાવી દીધો હતો, જે ગેરશિસ્ત છે. જોકે, કોઇ સામાન્ય નાગરિકને આ કઠોર લાગી શકે છે, પરંતુ સેનામાં શિસ્તનું સ્તર સામાન્ય જીવન કરતા અલગ અને વધારે આકરું હોય છે. કોર્ટે કહ્યું હતું કે સેનાએ કમલેસનને ઘણીવાર કાઉન્સિલિંગ કર્યુ હતું, પરંતુ તેમના વ્યવહારમાં જરાય પરિવર્તન આવ્યું નહોતું. તેથી સમગ્ર મામલાની ગંભીરતાને જોતા અને સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને જ બરતરફીનો નિર્ણય લેવાયો છે.