ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષના અંદાજિત ત્રણ અઠવાડિયા બાદ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ફરીથી આતંકવાદી હુમલો થયો તો ભારત ફરીથી જડબાતોડ જવાબ આપવામાં બિલકુલ ખચકાશે નહીં. જો આતંકવાદી ઠેકાણાઓ પાકિસ્તાનમાં હાજર છે, તો અમે પાકિસ્તાનમાં જઈને જ હુમલો કરીશું. ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું. આતંકવાદ આ દેશ (પાકિસ્તાન)ની રાષ્ટ્રીય નીતિનો ભાગ છે. એ જ સમસ્યા છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની સાથે થયેલા યુદ્ધવિરામને લઇને વિપક્ષ સતત સરકારને સવાલ પૂછી રહ્યું છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે તેનો જવાબ આપતા કહ્યું કે, ભારતે પાકિસ્તાનની સાથે યુદ્ધવિરામ શા માટે કર્યું? 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામના વાસ્તવિક કારણો અંગે જણાવતા તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનના 8 મુખ્ય એરબેઝ પર હુમલા કર્યા અને તેના કારણે યુદ્ધ રોકાયું.
બ્રસેલ્સમાં અમેરિકન ન્યૂઝ વેબસાઇટના ઇન્ટરવ્યૂ દરમિયાન જયશંકરે કહ્યું કે, ’10 તારીખે યુદ્ધ માત્રને માત્ર એક કારણથી અટક્યું, તે એ હતું કે અમે 10ની સવારે મુખ્ય 8 પાકિસ્તીની એરફીલ્ડ્સને હિટ કર્યા અને તેને નિષ્ક્રિય કર્યા. મારી વાત પર વિશ્વાસ ન કરો, આ તસવીરો ગૂગલ પર ઉપલબ્ધ છે. તમે તે રનવે અને હેંગરોને જોઈ શકો છે, જેના પર હુમલો થયો છે.’
એસ. જયશંકરે આપી પાકિસ્તાનને ચેતવણી
જયશંકરે આતંકવાદનો મુકાબલો કરવા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા અંગે એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘અમે તેની ચિંતા નથી કરી કે તે ક્યાં છે. પરંતુ તેઓ પાકિસ્તાનમાં અંદર સુધી છે, તો અમે પાકિસ્તાનમાં અંદર સુધી જશે.’
બ્રુસેલ્સની યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે, ‘આ (પાકિસ્તાન) એક એવો દેશ છે, જે આતંકવાદનો રાષ્ટ્રીય નીતિ તરીકે ઉપયોગ કરવામાં ખુબ ડૂબેલો છે. એ જ સમસ્યા છે.’ તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેવી પરિસ્થિતિઓ હજુ પણ છે, જેના કારણે બંને દેશો યુદ્ધની કગાર પર પહોંચી ગયા હતા તો તેમણે કહ્યું કે, ‘જો તમે આતંકવાદ પ્રત્યે પ્રતિબદ્ધતાને તણાવનો સોર્સ કહો છો, તો નક્કી એવું જ છે.’
ઇન્ડિયન એરક્રાફ્ટના ડેમેજ થવાના રિપોર્ટ પર શું બોલ્યા જયશંકર?
યુદ્ધવિરામની સાથોસાથ સૈન્ય હુમલામાં ભારતીય જેટ વિમાનોના ક્ષતિગ્રસ્ત થવાના રિપોર્ટ અંગે જયશંકરે કહ્યું કે, જ્યાં સુધી મારો સવાલ છે, રાફેલ કેટલું અસરકારક હતું અથવા સાચું કહું તો અન્ય સિસ્ટમ કેટલી પ્રભાવી હતી, મારા માટે તેના પુરાવા પાકિસ્તાની પક્ષના નષ્ટ અને અક્ષમ હવાઈ ક્ષેત્ર છે.
પહેલગામ હુમલા બાદ થયો સંઘર્ષ
ગત એપ્રિલમાં ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની ધર્મ પૂછીને હત્યા કરી દેવાઈ હતી. ભારતે તે આરોપો પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન પર લગાવ્યો. ત્યારબાદ મે મહિનામાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં હાજર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં જવાબ પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો. ભારતે 10 મેના રોજ મોટો હુમલો કરીને પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ કરી દીધા. જ્યારબાદ પાકિસ્તાને યુદ્ધ રોકવાની અપીલ કરી, જેનો ભારતે સ્વીકાર કરી લીધો.