કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે ‘તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી’. કેરળના RSS નેતાની હત્યાના આરોપી PFI સભ્ય અબ્દુલ સત્તારની જામીન અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અભય એસ. ઓકે આ ટિપ્પણી કરી હતી. સત્તાર પર 2022 માં કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર શ્રીનિવાસનની હત્યા સંબંધિત કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય: SC
સુનાવણી દરમિયાન, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના વકીલે કહ્યું કે વિચારધારા ગંભીર ગુના તરફ દોરી જાય છે. જેના પર કોર્ટે કહ્યું- તમે કોઈને તેની વિચારધારા માટે જેલમાં નાખી શકો નહીં. કોઈએ કોઈ ચોક્કસ વિચારધારા અપનાવી અને તેથી તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે.
શું છે મામલો?
વર્ષ 2022માં, કેરળના પલક્કડ જિલ્લામાં RSS નેતા શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના કેરળ એકમના તત્કાલીન મહાસચિવ અબ્દુલ સત્તારને આ કેસમાં આરોપી જાહેર કરવામાં આવ્યા હતા.
NIA એ દાવો કર્યો હતો કે સત્તારના ફોન પર મૃતકનો ફોટો મળી આવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ કોર્ટે કહ્યું કે સત્તારની હત્યામાં કોઈ સીધી સંડોવણી નથી. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે જ્યાં સુધી શ્રીનિવાસનની હત્યાનો સવાલ છે, ત્યાં સુધી અપીલકર્તાની તેમાં કોઈ સીધી ભૂમિકા નથી. 22 સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા લગભગ તમામ કેસોમાં પૂર્વવર્તી આરોપો છે.