જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ TRF ને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સામે પુરાવા રજૂ કર્યા છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં TRF અને પાકિસ્તાનનો હાથ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પક્ષ
ભારતે ગુરૂવારે (15 મે) યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝ્મ (UNOCT) એટલે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધિ કાર્યાલય અને કાઉન્ટર ટેરરિઝ્મ કમિટી એક્ઝીક્યુટિવ ડાયરેક્ટોરેટ (CTED) એટલે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે TRF પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. ભારતે યુએન સમિતિમાં એ પણ જણાવ્યું કે, TRF આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.
હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય અધિકારીઓએ ગુરૂવારે (15 મે) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને આંતકી સંગઠન TRFની ગતિવિધિઓ વિશે જાણકારી આપી હતી. ભારતે જણાવ્યું કે, પહલગામ હુમલામાં TRF પણ સામેલ હતું.
TRF પર પ્રતિબંધની માંગ
ભારતીય ટીમે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમનો હેતુ TRFને વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવાનો હતો.
ભારતે TRF ને સરહદ પારના આતંકવાદ સાથે જોડતા પુરાવા સાથે UN ની 1267 સમિતિનો સંપર્ક કર્યો છે. મે અને નવેમ્બર 2024 પછી આ ત્રીજી વખત છે જ્યારે ભારતે સમિતિનો સંપર્ક કર્યો છે.
TRFએ લીધો યુ-ટર્ન
હકીકતમાં, TRF આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત સંગઠન છે. તેણે શરૂઆતમાં 22 એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 લોકોના મોત થયા હતાં. જોકે, બાદમાં તેણે પલટી મારી દીધી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદી સંગઠન TRFએ સરહદ પાર પોતના આકાઓના કહેવા પર હુમલાની જવાબદારીનો દાવો પરત લઈ લીધો હતો.