જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબારમાં 27 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓએ સૌપ્રથમ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી, આતંકીઓના પોસ્ટર તેમજ પુતળું સળગાવી, ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદના નગરમંત્રી તિલક પટેલ જણાવે છે કે, ગઈકાલે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી 26 થી વધારે લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ હુમલામાં 27 થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે, આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમજ ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. વધુમાં ઇજાગ્રસ્તોને સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે તેવી અમારી માંગ છે. સાથે સાથે આતંકવાદીઓને શોધી શોધીને મારવામાં આવે અને પાકિસ્તાનને ઉગ્રતાથી જવાબ આપવામાં આવે તેવી અમારી માંગ છે.
રિપોર્ટર:ભાવેશ સોની (આણંદ )