વલસાડ જિલ્લાના મધુબન ડેમ અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી ખોટી અફવાએ શનિવારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગભરાટ અને અફડાતફડીનું વાતાવરણ સર્જ્યું હતું. ડેમના દરવાજા તૂટી ગયા હોવાની અને ડેમની દિવાલમાં તિરાડ પડી હોવાની ભ્રામક માહિતી સોશિયલ મીડિયા મારફતે ઝડપથી વાયરલ થતાં અનેક ગામોના લોકો પોતાના ઘરો છોડીને સલામત સ્થળોએ જવા લાગ્યા હતા.
પરંતુ ઘટનાની ગંભીરતા સમજતા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર કચેરી અને પોલીસ વિભાગે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ડેમમાં કોઈપણ પ્રકારની તિરાડ કે માળખાકીય નુકસાન થયું નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ વાતો પાયાવિહોણી અને ભ્રામક છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડેમ તૂટ્યો હોવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી, જેના કારણે લોકોમાં અનાવશ્યક ભય ફેલાયો હતો. અફવાઓના કારણે સર્જાયેલી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ તંત્રે વિવિધ ગામોમાં પહોંચી માઇક દ્વારા જાહેરાતો કરી લોકોને સાચી માહિતી આપી હતી અને પોતાના ઘરે પરત ફરવા અપીલ કરી હતી.
ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી
વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર સહિત મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ નોંધાયો છે. જેના પરિણામે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની જળસપાટી નિયંત્રણમાં રહે અને સલામતી જળવાઈ રહે તે માટે નિયમો મુજબ તબક્કાવાર ગેટ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેટ ખોલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમિત અને સુરક્ષિત છે. ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હાલ કોઈપણ પ્રકારનો ખતરો નથી.
અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ
જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વગર વિશ્વાસ ન કરે. ખાસ કરીને કુદરતી આફતો અને ડેમ સંબંધિત માહિતી માટે માત્ર સત્તાવાર સરકારી સ્ત્રોતો અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ.
તંત્રએ જણાવ્યું છે કે મધુબન ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે અને લોકો માટે ગભરાવાની કે ઘર છોડવાની કોઈ જરૂર નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel