કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાબોધન વર્ગમાં સહભાગી થનારા સમસ્ત નાગરિકોને સંસ્કૃત ભાષાના મહત્વ જણાવતા કહ્યું કે સંસ્કૃત ભારતના સંરકારોની ભાષા છે. ભારતના રક્તમાં આ ભાષા છે અને સંસ્કૃતિની ભાષા એટલે સંરકૃત ભાષા, એતદર્થ સંસ્કૃત ભાષાના સંરક્ષણથી જ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકાય છે માટે આપણે સૌ દેશવાસીઓએ પ્રયત્ન કરવો જોઈએ કે આ દેશની મૂળ ભાષા સંસ્કૃત પુન: આપણી વ્યવહાર ભાષા બને.
કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ મહેશભાઈ પરીખે જણાવ્યું કે સંસ્કૃત ભાષા એ વેદ ભાષા છે. ઋષિઓની ભાષા છે અને તેમણે ઉમેર્યું હતું કે વેદ મંત્રોનું પાંચ કિલોમીટર સુધી સકારાત્મક પ્રભાવ રહે છે. માટે આ વૈજ્ઞાનિક ભાષા સંસ્કૃતનું સંરક્ષણ કરવું આપણું દાયિત્વ છે.
ઉદ્ઘાટન સમારોહના સભાગૃહમાં સમુપસ્થિત સંસ્કૃત પ્રેમી જનોને સંબોધતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે કહ્યું હતું કે સંસ્કૃત એ આપણા શાસ્ત્રોની ભાષા છે આપણે સંસ્કૃત નથી જાણતા છતાં પણ કોઈ અશુદ્ધ બોલે તો તે ખબર પડી જાય છે અમે સંસ્કૃત નથી બોલી શકતા એ વાત અમારા માટે પણ કષ્ટપ્રદ છે. સાધુ જનો માટે આવા વર્ગો વિશેષ લાભપ્રદ થાય છે.
વર્ગના ઉદ્ધાટન સમારોહમાં સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાન્તના સહમંત્રી ડો. વસંતભાઈ જોષી, કર્ણાવતી વિભાગ સંયોજક રાજેન્દ્ર મહેતા, કર્ણાવતી વિભાગ સહસંયોજક નિલેશભાઈ ધાનાણી અને અન્ય સંસ્કૃત ભારતીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મહાનગરના સંસ્કૃત ભાષા શીખવા માટે સમુત્સુક નગર જનો ઉપસ્થિત રહ્યા હતા.
સુકુમાર ત્રિવેદી-પ્રચાર પ્રમુખ સંસ્કૃતભારતી, કર્ણાવતી મહાનગર