ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે સરકારી મહાસંમેલન પણ મળ્યું હતું.
આ પ્રસંગે કે ડી સી સી બેન્કના ચેરમેન તેજસભાઈ પટેલે સહુ ઉપસ્થિત મહાનુભાવો,બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ,ધારાસભ્યો ,સભાસદોને આવકારી બેંકની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. સહકારની ભાવના સાથે સહુના સહકારથી કેડીસીસી બેંકે કરેલી પ્રગતિ અને વિકાસ માટે સહુનો આભાર માન્યો હતો.૧૨૦૦ ગામના ખેડૂતોના સહકારથી આ બેન્ક વિકાસ કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહકારના ક્ષેત્ર થકી રાષ્ટ્ર વિકાસની દિશામાં આગળ ધપે તેવી નેમ છે ત્યારે ખેડૂતોને પાંચ લાખ સુધીની લોન માટેની પણ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા જોગવાઈ કરાઇ છે. જે સબસીડી સાથેની લોન છે. આ ઉપરાંત પશુપાલકો અને ડેરીમાં દૂધ ભરતા હોય તે પશુપાલકોને પણ લોન આપવાની જોગવાઈ કરાઈ છે. આ બેન્ક વહાટ્સ એપ બેન્કિંગ અને ઈન્ટરનેટ બેન્કિંગની પણ વ્યવસ્થા ધરાવે છે.
તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે ,આ બેંકે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ વીજ વપરાશકારોને સોલાર સિસ્ટીમ માટે પણ સહકારની ભાવનાથી મદદ કરે છે. આ બેન્ક ૧૨૦૦ ગામની ૮૪ શાખા દ્વારા સરળતાથી બેન્કિંગ પ્રક્રિયા કરી રહી છે. તેની પાછળ ડિજિટલ ક્રાંતિનું યોગદાન છે. યુપીઆઇ,ડિજિટલ પેમેન્ટ વગેરે દ્વારા બેન્ક ગ્રાહકો અને ખાતાધારકોને સુપેરે સુચારુ વ્યવસ્થા પૂરું પાડે છે. બેન્ક સાથે ૧૨૦૦ ઉપરાંત દૂધની ડેરી જોડાયેલી છે.જિલ્લાની મોટાભાગની સહકારી સંસ્થાઓ પણ આર્થિક અને વહીવટી રીતે જોડાયેલી છે.માઈક્રો એ ટી એમ દ્વારા આવનારા સમયમાં બેન્ક મારફતે તેના ગ્રાહકોને નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે.બેંકનું એનપીએ પણ નોંધપાત્ર વધ્યું છે.બેન્ક પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે.
બેંકની વાર્ષિક સાધારણ સભામાં અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઇ પટેલ,ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવ પ્રકાશ સ્વામી,ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂ.ડો.સંત સ્વામી, સત્સંગ સભાના અધ્યક્ષ પૂ.નૌતમ સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા.સાધારણ સભા પછી આંતર રાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ નિમિતે યોજાયેલા સહકારી મહા સંમેલનનું ઉપસ્થિત સંતો અને સહકારી અગ્રણીઓએ દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કર્યું હતું.